ચૂંટણી પહેલા જ્ઞાતિ આધારિત રાજકારણ તેજ, હવે થરાદ વિધાનસભા બેઠક પર ટિકિટ માટે પટેલ સમાજનો હૂંકાર
રાજયમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે અને તમામ પક્ષો જીતી શકે તેવા જ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માંગે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ અનેક સમાજ ટિકિટ મેળવવા માટે મેદાનમાં પડ્યા છે. પાટીદાર સમાજે 50થી વધુ ટિકિટ માંગ્યાની ચર્ચા છે, ત્યારે અન્ય સમાજ પણ પોતાની દાવેદારી કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે જાતિ-જ્ઞાતિના નામે રાજનીતિ થશે કે પછી વિકાસના નામે મત મળશે. રાજયમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે અને તમામ પક્ષો જીતી શકે તેવા જ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માંગે છે. જેનો મદાર સમાજ અને જ્ઞાતિના સમીકરણ પર હોય છે. હવે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર થાય તે પહેલા પટેલ સમાજે હૂંકાર કર્યો છે.
થરાદ વિધાનસભા બેઠક પર ટિકિટની ટકટક
થરાદ વિધાનસભા બેઠક પર ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી માગ કરવામાં આવી છે. ભળડાસર ગામમાં પટેલ સમાજની બેઠક મળી હતી. જેમાં ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી માગ કરવામાં આવી હતી. સાથે જ પટેલ સમાજે હુંકાર કર્યો છે કે જો ભાજપ થરાદ બેઠક પર બહારના કોઇ વ્યક્તિને ટિકિટ આપશે તો ચલાવી લેવામાં નહીં આવે.
જાતિવાદી સમીકરણો પર ચૂંટણી !
ચૂંટણીમાં ભલે રાજકીય પાર્ટીઓ દાવાઓ કરે છે, પરંતુ છેલ્લા તમામ પાર્ટીઓ જે-તે સમાજના ચહેરાઓને જ મેદાનમાં ઉતારે છે. આ વાત સમાજ પણ સારી રીતે જાણે છે, જેથી પોતાનો દબદબો યથાવત રાખવા અનેક સમાજે ટિકિટની માંગ કરી છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર સમાજ દ્વારા 10 ટિકિટની માગ કરાઈ છે તો પાટીદાર સમાજના અગ્રણી જેરામ પટેલે આ માગ કરી છે. ભાજપ,કોંગ્રેસ અને AAP પાસે ટિકિટની માગ કરાઇ છે. રાજકોટ પશ્ચિમ,માણાવદર,ધોરાજી,મોરબી સહિતની બેઠક પર ટિકિટની માંગણી કરવામાં આવી છે જયરામ પટેલનું કહેવું છે કે દેશમાં તમામ જગ્યાએ જ્ઞાતિવાદનું રાજકારણ ચાલે છે.