યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ડિગ્રીના ચાર વર્ષ પૂર્ણ કર્યા પછી સીધા જ પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ લેવાની મંજૂરી આપવા જઈ રહ્યું છે. ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓ સીધા જ પીએચડી પ્રોગ્રામમાં (PhD program) પ્રવેશ લઈ શકશે. જો કે, તેમની પાસે ચાર વર્ષના સ્નાતકમાં ઓછામાં ઓછા 75 % ગુણ અથવા તેના સમકક્ષ ગ્રેડ હોવા જોઈએ. આ સિવાય જો કોઈ વિદ્યાર્થીએ ચાર વર્ષનું ગ્રેજ્યુએશન (Graduation) પૂરું કર્યું હોય અને પછી એક વર્ષનો માસ્ટર પ્રોગ્રામ પૂર્ણ કર્યો હોય તો તેને પીએચડી પ્રોગ્રામમાં પણ પ્રવેશ મળી શકે છે.
વાસ્તવમાં, યુજીસી હાલમાં આ સંદર્ભમાં નિયમનનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે. પીએચડી પ્રવેશ માટેના નવા નિયમો આવતા સપ્તાહ સુધીમાં જાહેર કરવામાં આવશે. તેવી અપેક્ષા છે. જો કે, યુજીસીએ સ્પષ્ટ કર્યું છે કે, પીએચડી પ્રોગ્રામ ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવશે નહીં.
હાલમાં, પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટે માસ્ટર ડિગ્રી હોવી ફરજિયાત છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs) એવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકે છે કે, જેમણે ઇન્ટરવ્યુમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન સિવાય UGC-NET, UGC-CSIR NET, GATE અથવા CEED અને તેને સમાન નેશનલ લેવલ ટેસ્ટમાં શિષ્યવૃત્તિ માટે લાયકાત ધરાવતા હોય.
અન્ય એક મહત્વપૂર્ણ પગલામાં, UGC એ થીસીસ સબમિટ કરતાં પહેલા રિસર્ચ પેપર્સ ફરજિયાતપણે પબ્લિશ કરવાની જરૂરિયાતને પણ દૂર કરી દીધી છે. વાસ્તવમાં, યુજીસીએ એક પ્રતિષ્ઠિત કેન્દ્રીય યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી (IITs)ના 2,573 સંશોધન વિદ્વાનો સહિત એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાંથી બહાર આવ્યું છે કે, રિસર્ચ પેપરના ફરજિયાત પ્રકાશનને કારણે કેન્દ્રીય યુનિવર્સિટીઓના સ્કોપસ-ઇન્ડેક્સ્ડ જર્નલ્સની 75 ટકા ગુણવત્તામાં ઘટાડો થયો છે.
બીજી બાજુ, IIT ઘણા સંશોધન પત્રોને શ્રેષ્ઠ જર્નલ્સ તરીકે પબ્લિશ કરે છે. યુજીસીએ 2017થી 2019 સુધીના ત્રણ વર્ષના સમયગાળામાં તેનો સર્વે પૂર્ણ કર્યો. યુજીસીના વિશ્લેષણમાં જણાવાયું હતું કે, “યુનિવર્સિટીઓમાં, પીએચડી થીસીસ સબમિટ કરતાં પહેલાં પેપર પબ્લિશ કરવાની ફરજિયાત આવશ્યકતાએ લગભગ 75% વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન સંશોધન પેપરમાં તે જર્નલ પ્રકાશિત કરવાની ફરજ પાડી હતી. જે સ્કોપસ-ઇન્ડેક્સ્ડ જર્નલ્સ નથી.”