સલામ છે: મળો સુરતના આ બુક મેનને, જે આપે છે ઝૂંપડપટ્ટીના બાળકોને મફત શિક્ષણ
ઘણા ઓછા વ્યક્તિઓ એવા હોય છે જે પોતાની પાસે રહેલા જ્ઞાનને વ્યસ્ત જિંદગીમાંથી પણ સમય કાઢીને બીજાને વહેંચવામાં માને છે. જીગર રાવલ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું કામ બે વર્ષથી કરી રહ્યા છે.
એક તરફ રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાન ચલાવી રહી છે. પણ આ અભિયાન દરેક બાળકો સુધી પહોંચી શકે છે કે નહીં તે પણ પ્રશ્ન છે. આવામાં કેટલાક સેવાભાવી વ્યક્તિઓ એવા પણ હોય છે જે નિઃસ્વાર્થપણે ગરીબ અને પછાત બાળકોને ભણાવી ગણાવીને તેઓ સારા નાગરિક બને તે માટે કામ કરતા હોય છે.. આવો આજે તમને મળાવીએ સુરતના આવા જ એક બુક મેન સાથે.
હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે સુરતનો આ બુકમેન શાળાએ જઈને અભ્યાસ મેળવી ન શકતા બાળકો માટે મહેનત કરી રહ્યો છે.
સુરત ભલે સ્માર્ટ શહેરોની ગણતરીમાં આવી ગયું હોય પણ શહેરમાં ઝુંપડપટ્ટી દરેક જગ્યાએ મળી આવશે. જ્યાં રહેતા લોકો છૂટક મજૂરી કે ભીખ માંગીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. રૂપિયા અને સગવડના અભાવે તેઓ પોતાના બાળકને સારી સ્કૂલમાં મુકવાની વાત તો દુર પણ સરખું અક્ષરજ્ઞાન પણ આપી શકતા નથી. ત્યારે આ જ ઝુંપડપટ્ટીની વચ્ચે એક નાના ટેન્ટમાં સુરતના એક યુવાને શરૂ કરી છે એક નાની સ્કૂલ.
સુરતના પુણાગામ વિસ્તારમાં ઝુંપડપટ્ટી વિસ્તાર છે જ્યાં લગભગ 100 કેટલા પરિવારો રહે છે. જ્યાં પરિવારોને મજૂરી કરીને કે ભીખ માંગીને ઘર ચલાવવું પડે છે. તેવામાં અહીંના બાળકોને હાથમાં કટોરાની જગ્યાએ ચોપડી અને કલમ પકડાવવાનું બીડું ઝડપ્યું છે સુરતના જીગર રાવલે. સુરતના માર્કેટમાં નોકરી કરતા જીગર રાવલ છેલ્લા બે વર્ષથી આ ગરીબ અને પછાત બાળકોને અક્ષરજ્ઞાન આપીને તેમનું જીવન જીવવાલાયક બનાવવા પ્રયત્નશીલ છે. નોકરીએ જતા પહેલા રોજ સવારે 7 થી 9 ના સમય વચ્ચે તેઓ અહીં આવી જાય છે.
જીગરે નાનકડા ટેન્ટમાં શરૂ કરેલી સ્કૂલમાં બાળકો પણ વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે. અને જેમ તેમના જીગર સર ભણાવે તેમ ભણે છે. બે વર્ષના પ્રયાસ બાદ આ બાળકો પ્રાથમિક શિક્ષિત થયા છે. અંગ્રેજીની એબીસીડી અને કક્કા બારાખડી તેઓ બોલી જાણે છે. આ પહેલા આ બાળકો શાળાએ જતા નહિ. પણ હવે જીગર સર પાસે ભણીને તેઓ હવે ઊંચા સપના જોતા થયા છે.
બાળકો તો ખરા જ પણ બાળકોના માતાપિતા પણ એટલા જ ખુશ દેખાય છે. કારણ કે તેમના બાળકો ખોટા રસ્તે જાય તેના કરતાં તેઓ અક્ષરજ્ઞાન મેળવીને સારું જીવન જીવવા પ્રેરાય તે વધારે મહત્વનું છે. આ જ કારણથી તેઓ પણ હોંશે હોંશે પોતાના બાળકોને સ્કૂલમાં ભણવા મોકલે છે.
આજે જીગર રાવલ પાસે 60 જેટલા છોકરાઓ અભ્યાસ કરવા માટે આવે છે. જેઓને તેઓ પુસ્તકિયું જ્ઞાન તો આપે જ છે સાથે સાથે તેઓની તંદુરસ્તી જળવાય તે માટે અંગક્સરત પણ શીખવાડે છે. બાળકોના આરોગ્યની પણ તેઓ સંભાળ રાખે છે. જો કોઈ બાળક બીમાર પડે તો તેને ડોકટરની સારવાર આપવાને પણ તેઓ પોતાની ફરજ માને છે.
ઘણા ઓછા વ્યક્તિઓ એવા હોય છે જે પોતાની પાસે રહેલા જ્ઞાનને વ્યસ્ત જિંદગીમાંથી પણ સમય કાઢીને બીજાને વહેંચવામાં માને છે. જીગર રાવલના ગરીબ બાળકોને શિક્ષણ આપવાના બે વર્ષના સતત પ્રયત્નોમાં છ જેટલા બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતા થયા છે. અને તેમનો પ્રયાસ હજી એ જ છે કે હજો વધુને વધુ બાળકો શાળાના પગથિયાં ચડે અને એક સારા નાગરિક બનીને સારું જીવન જીવે.
આ પણ વાંચો: Surat: ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે જરૂરી ટ્રેનો શરૂ કરવા કરી માંગ
આ પણ વાંચો: કેમ સિવિલના ડૉક્ટરોએ કાળા કપડાં પહેરી કર્યું વિરોધ પ્રદર્શન? આ તારીખથી હડતાલની આપી ચીમકી