કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પશુઓ માટે પણ શરૂ થશે એમ્બ્યુલન્સ સેવા, તમામ પશુપાલકોને મળશે લાભ
દુર્ગમ વિસ્તારોમાં હવે પશુપાલકોને તેમના પશુઓની સારવાર માટે ભટકવું નહીં પડે. તેમના માટે પણ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.
ખેડૂતોની (Farmers) આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે ડેરી ક્ષેત્ર (Animal Husbandry and Dairy) માટે વધુ એક મોટું પેકેજ જાહેર કર્યું છે. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે હવે લોકોની જેમ પશુઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. દુર્ગમ વિસ્તારોમાં હવે પશુપાલકોને તેમના પશુઓની સારવાર માટે ભટકવું નહીં પડે. તેમના માટે પણ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.
પશુપાલન અને ડેરી ક્ષેત્રના (Animal Husbandry and Dairy) વિકાસ માટે આ એક મોટું પગલું છે. ઠાકુર બુધવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે માહિતી આપી રહ્યા હતા. ઠાકુરે કહ્યું કે, સરકારે પશુપાલન વિકાસ યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત અંદાજીત રૂ. 54,618 કરોડનું રોકાણ થશે. તેમણે કહ્યું કે આ નિર્ણય ગ્રામીણ ભારતના વિકાસ સાથે સંબંધિત છે. તેનાથી ખેડૂતો અને પશુપાલકોનું જીવન બદલાશે.
કેન્દ્ર સરકાર તેના માટે 9,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પેકેજમાં ત્રણ મોટી યોજનાઓ સામેલ છે. જેમાં પશુધન વિકાસ યોજના, રાષ્ટ્રીય ગોકુલ મિશન (Rashtriya Gokul Mission) અને રાષ્ટ્રીય પશુ રોગ પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવશે. જેમાં સારા પરિણામના આધારે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. જેથી યોજનાઓનો ખર્ચ તે દિશામાં હોવો જોઈએ, જેનાથી પશુપાલકોની આવક વધે.
પશુપાલન અને ડેરી માટેના (Animal Husbandry and Dairy) આ પેકેજ હેઠળ સારવાર, રસીકરણ, ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરીક્ષણ માટે ગુણવત્તાયુક્ત સંવર્ધન માટે રોકાણ કરવામાં આવશે. જે પ્રાણીઓના રસીકરણ, ચિલિંગ પ્લાન્ટ સ્થાપવા અને પ્રોસેસિંગ માટે માળખાગત સુવિધા બનાવવામાં મદદરૂપ થશે. આ માટે, ગુણવત્તા પરીક્ષણ માટેના ઉપકરણો પર પણ ખર્ચવામાં આવશે. ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ વર્કિંગ કેપિટલ પર પણ વ્યાજ છૂટ મળશે, જે વધુ પશુઓને રાખવા માટેની તક આપશે.
ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં ડેરી ક્ષેત્રનું યોગદાન 28 ટકા છે. વાર્ષિક આશરે 8 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે 20 ટકા છે.
ગુજરાત સરકારે પશુઓ માટે પણ હેલ્પલાઇન 1962 શરૂ કરી છે. 365 દિવસ 24 કલાક સુધી ખુલ્લી રહેતી આ હેલ્પલાઇનની મદદથી પશુપાલકો તેમના પશુઓને વિનામૂલ્યે સારવાર અપાવી શકશે. 10 ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાનું શરૂ છે. પશુઓની સારવાર માટે પીપીપી મોડલથી મોબાઇલ વાનની સુવિધા શરૂ કરવામાં આવી છે.