ખેડૂતોએ આગામી ખરીફ પાકોના વાવેતર માટે બિયારણની ખરીદી કરતાં સમયે આ કાળજી લેવી જોઈએ
બિયારણની (Seeds) ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.
હાલ ખેડૂતોએ ખરીફ સિઝન(Kharif Crops)ના પાકની તૈયારી શરૂ કરી દીધી છે. કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે જો તમે ખરીફ સિઝનના પાકમાં સારી ઉપજ ઈચ્છતા હોય તો તમારી તૈયારી સારી હોવી જોઈએ. જો રવિ પાકની લણણી પછી ખેતરો ખાલી પડે છે, તો ખેતરોને સુધારવાનો આ યોગ્ય સમય છે. ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IARI)પુસા કહે છે કે કેટલાક બારમાસી નીંદણ પાકને ઘણું નુકસાન પહોંચાડે છે. તેમને નિયંત્રિત કરવું પણ મુશ્કેલ છે. ઉનાળામાં ઊંડી ખેડાણ કરીને આવા નીંદણને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
આગામી ખરીફ ઋતુ શરુ થવાની તૈયારી છે અને મે માસના અંત સમયે બીટી કપાસ સહીતના ખરીફ પાકોનું વાવેતર શરુ થશે. ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ (Seeds)ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.
આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતાં સમયે ખેડૂતો આટલી કાળજી જરૂરથી લો.
સાવચેતીથી સમૃદ્ધિ. pic.twitter.com/NR8kjLiJvD
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) May 13, 2022
બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું સહી સાથેનું બીલ અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ? તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.
ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે.