2025 સુધીમાં યુરિયા બાબતે આત્મનિર્ભર બની જશે ભારત, ઘરેલું જરૂરિયાત માટે નહીં કરવી પડે આયાત
પરંપરાગત યુરિયા (Urea) અને નેનો-લિક્વિડ યુરિયા (Nano Urea)નું સ્થાનિક ઉત્પાદન દેશની વાર્ષિક માગને પહોંચી વળવા માટે પૂરતું રહેવાની આશા છે. હાલમાં દેશનું યુરિયા (પરંપરાગત) ઉત્પાદન 260 લાખ ટન છે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતને 2025 ના અંત સુધી યુરિયાની આયાત કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે પરંપરાગત યુરિયા (Urea)અને નેનો-લિક્વિડ યુરિયા (Nano Urea)નું સ્થાનિક ઉત્પાદન દેશની વાર્ષિક માગને પહોંચી વળવા માટે પૂરતું હશે. આશા છે. હાલમાં દેશનું યુરિયા (પરંપરાગત) ઉત્પાદન 260 લાખ ટન છે, જ્યારે સ્થાનિક માગને પહોંચી વળવા લગભગ 90 મિલિયન ટનની આયાત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે અમારું અનુમાન છે કે 2025ના અંત સુધીમાં આપણે યુરિયા બાબતમાં આત્મનિર્ભર બની જઈશું અને આયાત પર નિર્ભરતા રહેશે નહીં.
પરંપરાગત યુરિયા અને નેનો યુરિયાનું આપણું સ્થાનિક ઉત્પાદન માગ કરતાં વધી જશે. મંત્રીએ કહ્યું કે પરંપરાગત યુરિયાની ઉત્પાદન ક્ષમતા વધારીને લગભગ 6 મિલિયન ટન કરવામાં આવશે, જ્યારે નેનો યુરિયાનું ઉત્પાદન વાર્ષિક 44 કરોડ બોટલ (દરેક 500 મિલી) સુધી વધવાનો અંદાજ છે, જે 200 લાખ ટનની પરંપરાગત યુરિયા સમકક્ષ હશે.
માંડવીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ નેનો યુરિયા સારી રીતે અપનાવી છે જે ખૂબ જ પ્રોત્સાહક છે. તેમણે કહ્યું કે પ્રવાહી પોષક તત્વો જમીનની તંદુરસ્તી જાળવવા તેમજ પાકની ઉપજ વધારવામાં અસરકારક છે. મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આયાતમાં ઘટાડાથી સરકારને વાર્ષિક અંદાજે 40,000 કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચશે.
નેનો યુરિયાની એક બોટલ યુરિયાની એક થેલી બરાબર છે. તેનો ઉપયોગ જમીન, પાણી અને વાયુ પ્રદૂષણને અસરકારક રીતે ઘટાડી શકે છે જે ઉત્પાદન અને વપરાશ બંને સ્તરે રાસાયણિક ખાતરોના ઉચ્ચ ઉપયોગને કારણે થાય છે. હાલમાં નેનો યુરિયાનું ઉત્પાદન પ્રતિવર્ષ 5 કરોડ બોટલ છે. અગ્રણી સહકારી કંપની IFFCOએ બજારમાં નવીન નેનો યુરિયા રજૂ કરી છે. તેનું વાણિજ્યિક ઉત્પાદન 1 ઓગસ્ટ, 2021 ના રોજ ગુજરાતના કાલોલમાં IFFCOના પ્લાન્ટમાંથી શરૂ થયું હતું.
નેનો યુરિયાથી ખેડૂતોની આવક વધશે
IFFCO તેમજ અન્ય બે કંપનીઓ RCF અને NFL દ્વારા સાત વધુ નેનો યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. IFFCO એ નેનો યુરિયા ટેક્નોલોજી આ બે PSU ને વિનામૂલ્યે ટ્રાન્સફર કરી છે. નેનો યુરિયાના ઉપયોગથી ખેડૂતોની આવકમાં સરેરાશ રૂ. 4,000 પ્રતિ એકરનો વધારો થવાની ધારણા છે. નેનો યુરિયાના ઉપયોગથી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને નાના ખેડૂતોને ઘણો ફાયદો થશે.
કુલ ખાતર સબસિડી બિલના સંદર્ભમાં, અધિકારીએ જણાવ્યું હતું કે તે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 1.62 લાખ કરોડથી વધીને ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ રૂ. 2.5 લાખ કરોડ થવાની ધારણા છે. ચાલુ નાણાકીય વર્ષમાં જ યુરિયા પર લગભગ રૂ. 70,000 કરોડની સબસિડી મળવાની અપેક્ષા છે. યુરિયાની મહત્તમ છૂટક કિંમત (MRP) પ્રતિ થેલી (45 કિલો) રૂ. 267 છે, જ્યારે સબસિડી રૂ. 2,300 પ્રતિ થેલી છે. IFFCO 240 રૂપિયા પ્રતિ બોટલ (500 ml)ના દરે નેનો યુરિયાનું વેચાણ કરે છે.