MUMBAI : કિન્નરે 3 મહિનાની બાળકીનું અપહરણ કરી કાદવમાં ડુબાડી મોતને ઘાટ ઉતારી, હત્યાનું ચોંકાવનારુ કારણ
Crime in Mumbai : મુંબઈનો કફ પરેડ વિસ્તારમાં એક પરિવારમાં બાળકીનો જન્મ થતા કિન્નરે શુકનમાં રૂ.1100 અને અને એક સાડી માંગી હતી. આ પરિવારે કિન્નરને રૂ.200 આપ્યાં હતા.
MUMBAI : આજકાલ ગુનેગારોને જાણે પોલીસ અને કાયદાનો ડર જ નથી રહ્યો તેમ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યાં છે. માયાનગરી મુંબઈમાં ગુનેગારો બેફામ બન્યા છે અને ચોરી, લૂંટ, હત્યા (Murder) જેવી ઘટનાઓ જાણે કે સામાન્ય બની ગઈ છે. મુંબઇના કફ પરેડ વિસ્તાર (Cuffe Parade area) માં હત્યાની એક ચકચારી ઘટના સામે આવી છે.આ ઘટનાને અંજામ આપવામાં એક મુખ્ય આરોપી તરીકે એક કિન્નર સામેલ છે. આ કિન્નરે (Kannu Kinner ) તેના પુરૂષ મિત્ર સાથે મળી 3 મહિનાની બાળકીનું અપહરણ કર્યું અને માસુમ બાળકીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી. પોલીસે આ કેસમાં બંને આરોપીની ધરપકડ કરી છે.
હત્યાનું ચોંકાવનારુ કારણ 3 મહિના પહેલા મુંબઈ(mumbai)ના કફ પરેડ વિસ્તાર (Cuffe Parade area) માં રહેતા ચિટકુટ પરિવારમાં એક પુત્રીનો જન્મ થયો હતો. નજીકમાં રહેતા કન્નુ કિન્નર (Kannu Kinner ) ને આ વાતની જાણ થતાં ગત તારીખ 8 જુલાઈને ગુરુવારે તેણે ચિટકુટ પરિવાર પસેથી પુત્રીજન્મના આનંદમાં શુકન રૂપે 1100 રૂપિયા અને સાડીની માંગણી કરી હતી.
આ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કિન્નર કન્નુની આ માંગણી પૂરી કરવામાં અસમર્થતા વ્યક્ત કરતાં પરિવારે તેને શુકનના 200 રૂપિયા આપ્યા હતા. શુકનના 1100 ને બદલે 200 રૂપિયા મળતા કનુ કિન્નર પરિવાર સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. પરંતુ આ પરિવારે તેને વધારે રૂપિયા આપવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. જેની દાઝ રાખીને કિન્નરે આ 3 મહિનાની બાળકીની હત્યા કરી નાખી.
કિન્નરે રાત્રે બાળકીનું અપહરણ કર્યું કિન્નર કન્નુએ તેના અન્ય સાથી સોનુ સાથે મળી મોડી રાત્રે ચિટકુટ પરિવારના ઘરેથી 3 મહિનાની બાળકી આર્યાનું અપહરણ કર્યું હતું. રાત્રે 3 વાગ્યે ચિટકુટ પરિવારને ખબર પડી કે તેમની બાળકી ઘરમાં નથી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે પરિવારને પૂછ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તેમની કોઈની સાથે દુશ્મનાવટ થઇ હતી કે પછી કોઈએ તેમને ધમકી આપી હતી કે નહીં. આના જવાબમાં પરિવારે જણાવ્યું હતું કે સવારે શુકનના રૂપિયા આપવા બાબતે કનુ કિન્નર સાથે ઝઘડો થયો હતો.
બાળકીને જીવતી કાદવમાં ડુબાડી હત્યા કરી પોલીસે તપાસ શરૂ કરી હતી અને કન્નુ કિન્નર સુધી પહોચી હતી. કન્નુની કડક પૂછપરછ બાદ તેણે આ બાળકીની હત્યા અંગે જે ઘટસ્ફોટ કર્યો હતો તે ચોંકાવનારો હતો.કન્નુએ કહ્યું હતું કે તેણે માત્ર ચિટકુટ પરિવારને પાઠ ભણાવવા માટે આર્યનું અપહરણ કર્યું હતું.
કન્નુ કિન્નરે કબુલાત કરી કે તેણે પોતાના પુરૂષ મિત્ર સાથે મળી બાળકીનું અપહરણ કર્યું અને દરિયા નજીક કાદવમાં કાદવમાં જીવતી ડુબાડી દીધી હતી.કન્નુની આ કબૂલાતથી પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી હતી અને તે સ્થળે પહોંચી હતી જ્યાં તેઓએ 3 મહિનાની આર્યને કાદવમાં ડુબાડી દીધી હતી.
આરોપીઓને ફાંસી ન થાય ત્યાં સુધી નહિ કરીએ અંતિમ સંસ્કાર : પરિવાર પોલીસે આ 3 મહિનાની બાળકીનો મૃતદેહ કાદવમાંથી બહાર કાઢ્યા બાદ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. હત્યાની આ ઘટનાના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન બાળકીના પરિવારે પોલીસને કહ્યું કે જ્યાં સુધી આ બંને આરોપીઓને ફાંસી ન થાય ત્યાં સુધી અમારી બાળકીના અંતિમ સંસ્કાર નહિ કરીએ.