Girsomnath : વિશ્વ શિક્ષક દિવસે જ એક શિક્ષકે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો. વાત છે ગીરસોમનાથ જિલ્લાની. ગીરગઢડાના થોરડી ગામના આચાર્ય શિક્ષકે સ્કૂલમાં જ ગળેફાંસો ખાતા ચકચાર મચી. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી તો, મૃતક શિક્ષક ઘનશ્યામ અમરેલિયાના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી. જેમાં તેણે સાથી શિક્ષકો અને તાલુકા શિક્ષણાધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા.
સુસાઇડ નોટમાં આત્મહત્યા મામલે મૃતકના ખુલાસા
મૃતકે સ્યુસાઇડ નોટમાં કરેલા આરોપો પર નજર કરીએ તો, ઘનશ્યામભાઇની બદલી કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ વાયા વાયા 25 લાખ રૂપિયાની માગ કરી હતી. જેમાં તાલુકા શિક્ષણાધિકારી જયેશ રાઠોડ અને જયેશ ગોસ્વામી પર 7 લાખ રૂપિયા માગવાનો આરોપ લગાવાયો છે. સાથે જ શાળાના શિક્ષક વાલાભાએ પણ 4 લાખ રૂપિયા માગ્યા હોવાનો ઉલ્લેખ છે. આ તમામે ઘનશ્યામભાઇ પર દારૂ પીને શાળામાં ફરજ બજાવવાનું બહાનું બતાવીને રૂપિયા માગ્યા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.
બે ટીપીઓ, એક આચાર્ય, સાથી શિક્ષક સામે ફરિયાદ
ત્યારે મૃતક આચાર્યની પુત્રીની ફરિયાદના આધારે ગીરગઢડા પોલીસે બે TPO, એક આચાર્ય અને સાથી શિક્ષક સહીત 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં વધુ કયા નવા નવા ખુલાસા થાય છે.
આપઘાત પહેલાની આપવીતી
“હું નોકરી અને ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી કંટાળી ગયો છું”
“બદલી કર્યા બાદ અધિકારીઓએ વાયા વાયા 25 લાખ માંગ્યા”
“શાળામાં દારૂ પીને નોકરી કરૂ છું તેવુ બહાનું કાઢી 25 લાખ માંગ્યા”
“TPO જયેશ રાઠોડ, ગોસ્વામી અને આચાર્યએ 7 લાખ માંગ્યા હતા”
“જયેશ રાઠોડ અને ગોસ્વામીએ મોબાઇલ પર વાત કરવાની ના પાડી હતી”
“ત્રાસથી કંટાળી પ્રા.શાળાના ગ્રાઉન્ડમાં રોકડા 25 લાખ આપેલા”
“રૂપિયા આપ્યા બાદ અન્ય શિક્ષકને નોકરીએ રાખ્યો હતો”
“દારૂની ફરિયાદ ન કરવા મુદ્દે શિક્ષક વાલાભાઇએ પણ 4 લાખ માંગ્યા”
“વાલાભાઇએ પૈસા પરત માગ્યા તો મારી નાખવાની ધમકી આપી હતી”
Published On - 7:06 am, Mon, 6 September 21