ડોક્ટરના ઘરમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરી, 20 ફુટ ટનલ બનાવી ઘરમાં દાટેલી 400 કિલો ચાંદી ચોરી ગયા
જયપુરના પ્રખ્યાત ડોક્ટરના ઘરે ફિલ્મી સ્ટાઈલમાં ચોરી થઇ છે. ઘરના ભોયરા નીચે દાટેલી ચાંદીને ચોર 20 ફૂટની ટનલ બનાવીને ચોરી ગયા હતા.
રાજસ્થાનની રાજધાની જયપુરના એક નામી ડોક્ટરના ઘરે અનોખી ચોરી થઇ ગઈ. તમને જાણીને એમ થશે કે આ કોઈ ફિલ્મી સ્ટોરી છે, પરંતુ આવી ચોરી હકીકતમાં થઇ છે. ચોરોએ શહેરના વૈશાલી નગરમાં આમ્રપાલી સર્કલના ડી બ્લોગમાં ચોરી કરી છે. શહેરના નામી હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો સુનીત સોનીના ઘરની બાજુમાં ખાલી પ્લોટમાં 20 ફૂટ લાંબી સુરંગ ખોદી. જે સુરંગ સીધી ડોક્ટરના રૂમમાં નીકળી. એ બાદ ડોક્ટરના ઘરના બેસમેન્ટમાં રાખેલા ૩ મોટા લોખંડના મોક્સમાંથી 4 ક્વિન્ટલ એટલે કે 400 કિલો ચાંદી ચોરી ગયા.
બનાવ અંગે માહિતી આપતાં જયપુરના એસીપી રાયસિંહ બેનીવાલે જણાવ્યું કે શુક્રવારે વૈશાલી નગરમાં આમ્રપાલી સર્કલના ડી-બ્લોકમાં રહેતા ડો.સોનીએ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટમાં ડો.સોનીએ જણાવ્યું હતું કે તે 2 દિવસ પહેલા ભોંયરામાં ગયા. ત્યાં, ચાંદીના ઘરેણાં ગાયબ હતા. કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે તેઓને લોખંડના બોક્સ કાપેલા જોવા મળ્યા. વળી બોક્સની નીચે લગભગ 2 ફુટ ઊંડો ખાડો દેખાયો. જ્યારે આ ઘટનાની તપાસ કરવામાં આવી. ત્યારે જાણવા મળ્યું કે ચોરોએ આશરે 20 ફુટ લાંબી ટનલ બનાવી હતી અને આ ઘટનાને અંજામ આપીને ચાંદી અને એના ઘરેણાં ઉઠાઈ ગયા હતા.
આ બાબતે વૈશાલી નગરના સ્ટેશન ઇન્ચાર્જ અનિલ જૈમને જણાવ્યું હતું કે, ડો.સુનીત સોનીએ ચોરીની ફરિયાદમાં ચોરીની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે પરંતુ ઝવેરાત અને ચાંદીના બિસ્કિટનું વજન કહ્યું નથી. પરંતુ આ કેસમાં થયેલી પોલીસ તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભોંયરામાં રાખેલા ત્રણ લોખંડ બોક્સના કદ પ્રમાણે, તેમાં લગભગ ચાર ક્વિન્ટલ ચાંદી હોવી જ જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે ડોકટરે આ લોખંડના ડબ્બાઓને ભોંયરામાં દફનાવી દીધા હતા અને ઉપર આરસ લગાવીને એક નક્કર ફ્લોર બનાવી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટર અને તેની પત્ની તેમના ઘરે ક્લિનિક ચલાવે છે.
પોલીસે જણાવ્યું કે આ જ કોલોનીમાં ડો.સોનીના ઘરની પાછળ એક પ્લોટ ખાલી પડેલો છે. જેમાં એક ઓરડો બનાવવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ મકાન બનવારી લાલ જાંગીડ નામના વ્યક્તિએ ખરીદ્યું છે. આ મકાનમાં બનાવેલો ઓરડાનું તળિયું તોડીને એક ટનલ બનાવવામાં છે. ચોરોએ આશરે 20 ફૂટ લાંબી ટનલ ખોદીને ડોક્ટરના ભોંયરામાં પહોંચ્યા હતા. ત્યાં જમીનમાં દફનાવાયેલા ચાંદીના આભૂષણો અને ચાંદીના બિસ્કિટ ચોરી લીધાં હતા.