નવું વર્ષ શરૂ થતાની સાથે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોની દહેશત સામે આવી છે. અમદાવાદ શહેરના રામોલ, નારોલ અને કૃષ્ણનગર વિસ્તારમાં હથિયારો સાથે અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. પોલીસના બંદોબસ્ત અને સુરક્ષાના દાવાઓની અસામાજિક તત્વોએ પોલ ખોલી દીધી હતી. ત્યારે સ્થાનિક રહીશોની સુરક્ષા હવે રામ ભરોસે હોય તેવું જણાઇ આવે છે.
અમદાવાદના કૃષ્ણનગર, ઇસનપુર અને રામોલમાં આતંકના દ્રશ્યો
અમદાવાદ શહેરમાં એક બાજુ 31મી ડિસેમ્બર લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત બીજી બાજુ અસામાજિક તત્વો આતંક મચાવ્યો. શહેરના કૃષ્ણનગર, ઇસનપુર અને રામોલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ દહેશત ફેલાવી વાહનોમાં તોડફોડ કરી હતી. આ અસામાજિક તત્વો દારૂના નશામાં ધૂત બની રોડ પર રહેલા વાહનો તોડફોડ કરી હતી. જોકે તમામ ઘટનામાં સ્થાનિક પોલીસ નિષ્કિય જોવા મળી હતી. પરંતુ આખરે ગુનો નોંધવામાં આવ્યો છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ, સુરક્ષાને લઇને પ્રજા રામ ભરોસે
એક દિવસમાં અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યાના ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાતા પોલીસ પણ હરકતમાં આવી. અને તમામ ગુનાઓમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓને શોધી ઝડપી લેવામાં આવ્યા. મોટાભાગના ગુનામાં અંગત અદાવતમાં હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. માત્ર રામોલ પોલીસ મથકમાં બોલાચાલી બાદ એક યુવક પર હુમલો કરવામાં આવ્યો, જેમાં રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ નારોલમાં પાનના ગલ્લા પર રૂપિયાની લેતીદેતીમાં હુમલો થયો હોવાનુ સામે આવ્યુ છે.
અસામાજિક તત્વોની દાદાગીરી અને આંતકની દહેશત વચ્ચે રહીશોએ રાત્રે ઘરથી નીકળવાનું બંધ કર્યું. ત્યારે હવે અમદાવાદ પૂર્વમાં ગુનેગારો બેફામ થયા તો પોલીસ નિષ્ક્રિય બની. ત્યારે સવાલ એ થાય છે કે શું અમદાવાદ ખરેખર સુરક્ષિત છે. આ ઉપરાંત શહેરમાં હવે તો ચોરી, લૂંટ અને હત્યાના બનાવો પણ સતત બની રહ્યાં છે. જેને લઇને શાંત શહેરની છબી ધરાવતું અમદાવાદ હવે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાત સહિત દેશના ખેડૂતોને વર્ષ-2022ના પ્રથમ દિને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 10માં હપ્તાની ભેટ
આ પણ વાંચો : AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગના હેડ ડો.ઈલા ઉપાધ્યાય સામે જુનિયર ડોકટરો વિરોધમાં ઉતર્યા, જાણો શું છે કારણ