અમદાવાદ : ઘાટલોડીયામાં વૃદ્ધ દંપતિની હત્યા મામલે પોલીસની તપાસ તેજ, શંકાના દાયરામાં ઘરઘાટી
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પારસમણિ ફ્લેટમાં ધનતેરસની સાંજે આ હત્યા થઈ છે. સાંજે ઘરમાં વૃદ્ધ દંપત્તિ એકલા હતા ત્યારે ઘરમાં ઘૂસી ગળું કાપી તેમની હત્યા કરવામાં આવી હતી. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસી આવેલા લુટારાઓ દંપત્તિની હત્યા કરી ઘરમાંથી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદના ઘાટલોડીયામાં થયેલી વૃદ્ધ દંપતિની હત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. ઘાટલોડીયા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમ પણ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. અંગત અદાવતમાં હત્યા થઇ હોવાની પોલીસને આશંકા છે. કારણ કે, ઘરમાં પડેલા 10 હજાર અને સોનાના દાગીના તો સુરક્ષિત છે. અત્યાર સુધીની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, વૃદ્ધ દંપતિએ ઘરઘાટી બદલ્યો હતો. જેથી અગાઉના ઘરઘાટી પર પણ પોલીસને શંકા જઇ રહી છે. જેથી તે દિશામાં પણ પોલીસની ટીમ તપાસ કરી રહી છે.
વૃદ્ધ દંપતિની પૌત્રી કોને મળી હતી તે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે, ઘાટલોડિયા વિસ્તારમાં ઘરમાં એકલા રહેલા સિનિયર સિટીઝન દંપત્તિની હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા FSLની ટીમ દ્વારા ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી છે. પોલીસની અલગ અલગ ટીમો હત્યા કેસની તપાસમાં લાગી છે. સાથે જ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને કૉલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પારસમણિ ફ્લેટમાં ધનતેરસની સાંજે આ હત્યા થઈ છે. સાંજે ઘરમાં વૃદ્ધ દંપત્તિ એકલા હતા ત્યારે ઘરમાં ઘૂસી ગળું કાપી તેમની હત્યા કરવામાં આવી હતી. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસી આવેલા લુટારાઓ દંપત્તિની હત્યા કરી ઘરમાંથી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે લૂંટમાં કેટલો મુદ્દામાલ ગયો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ દંપત્તિના બેમાંથી એક દીકરાનું બીમારીને કારણે અવસાન થયું હતું. જ્યારે બીજો દીકરો તેના પરિવાર સાથે અડાલજની પાર્શ્વનાથ ટાઉનશિપમાં રહે છે.
સાંજે પોણા આઠ વાગ્યે મેડિકલ સ્ટોરનો કર્મચારી આ સિનિયર સિટીઝન દંપતીની દવા આપવા માટે ઘરે ગયો હતો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવાથી તે સીધો અંદર ગયો હતો અને જોયું તો બેડરૂમમાં દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું. આ અંગે તેણે પાડોશી અને દંપતીના પુત્રને જાણ કરી હતી. હત્યાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ તેમ જ ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ધારદાર હથિયારથી હુમલો કરી વૃદ્ધ દંપત્તિની હત્યા કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બેડરૂમની તિજોરીનાં તાળાં તૂટેલા હતા. જેથી લૂટારા દાગીના, રોકડ સહિતની કેટલી મત્તા લઈ ગયા હોવાની શક્યતા છે. તપાસ દરમ્યાન ઘરમાંથી એકેય મોબાઇલ ફોન મળી આવ્યો ન હતો, તપાસમાં સામે આવ્યું છે કે દંપત્તિ મોબાઇલ ફોન વાપરતા જ ન હતા, તેના બદલે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરતા હતા.