Ahmedabad : ઈસનપુરમાં ડબલ મર્ડર, આરોપીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સાત આઠ દિવસ પહેલા વરુણના બહેન કિન્નરીનું પણ હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું. જેનો આઘાત તેઓ સહન કરી શક્યા ન હતા. જ્યારે બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આર્થિક સંકડામણના કારણે તેણે આ પગલું ભર્યું હોય શકે છે.
Ahmedabad : ઈસનપુરમાં ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી પુત્રએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જોકે આત્મહત્યા માટે બે વખત પ્રયાસ કરવા છતાં યુવકનું મોત ના થતા. અંતે તેણે તેના સબંધીને પોતે કરેલા ગુનાની જાણ કરી હતી. જે કૃત્ય કોઈ પણને હચમચાવી દે તેવું છે.
મેં મારી મમ્મી અને કાકાની હત્યા કરી મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મારું મોત થઈ શકતું નથી. આ શબ્દ ઈસનપુર વિસ્તારમાં આવેલ સુમન સજની સોસાયટીમાં રહેતા વરુણ પંડ્યા છે. જેણે તેની માતા અને કાકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વરુણએ આ ઘટનાની જાણ તેના સંબંધીને કરી હતી. જોકે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.તો વરુણ લોહી લુહાણ હાલમાં જોવા મળ્યો હતો. જેથી પોલીસએ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
હત્યારો વરુણને સારવાર માટે મોકલ્યા બાદ ઘરમાં તપાસ કરતા તેની માતા વંદના બહેન અને કાકા અમૂલ ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે સોમવારે વરુણ એ તેના કાકા અને માતાની હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગળેફાંસો ખાવાથી તેનું મૃત્યુ ન થતાં તેણે છરી વડે પેટના ભાગે ઘા માર્યા હતા. જોકે તેમ છતાં મોત ના થતા, તે બે દિવસ સુધી લોહી લુહાણ હાલમાં રૂમમાં બંને મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. અને કંટાળીને તેણે તેના સગાને આ બાબતની જાણ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સાત આઠ દિવસ પહેલા વરુણના બહેન કિન્નરીનું પણ હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું. જેનો આઘાત તેઓ સહન કરી શક્યા ન હતા. જ્યારે બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આર્થિક સંકડામણના કારણે તેણે આ પગલું ભર્યું હોય શકે છે. મૃતક અમૂલ ભાઈ પંડ્યાએ કોર્પોરેશનમાં પબ્લિક હેલ્થ ઓફિસર તરીકે કામ કરતા હતા. પરંતુ સાતેક વર્ષ પહેલાં તેઓ નિવૃત્ત થયા છે. જોકે આ સમગ્ર મામલે પોલીસે એફએસએલની મદદ લઈને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
હાલ તો આ સનસનીખેજ હત્યાના બનાવે સમગ્ર ઇસનપુર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. અને, લોકો હત્યા પર ફિટકારની લાગણી વરસાવી રહ્યાં છે. ત્યારે હવે પોલીસ તપાસમાં નવું શું ખુલે છે તેની રાહ જોવી રહી.
આ પણ વાંચો : Rajkot : પાટીદાર એટલે ભાજપ, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારોને મનાવવાનો કર્યો પ્રયાસ