RAJKOT : હોસ્પિટલોમાં બેડ ખૂટતા સિલ્વર હાઇટ સોસાયટીએ ક્લબ હાઉસમાં આઇસોલેટ રૂમ શરૂ કર્યા, અહીં રહે છે 45 ડોક્ટર્સ
RAJKOT : શહેર અત્યારે કોરોનાના અત્યંત ભયાનક કાળમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે તો ઑક્સિજન અને ઈન્જેક્શન માટે દર્દીઓએ રીતસરની રઝળપાટ કરવી પડી રહી છે.
RAJKOT : શહેર અત્યારે કોરોનાના અત્યંત ભયાનક કાળમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે તો ઑક્સિજન અને ઈન્જેક્શન માટે દર્દીઓએ રીતસરની રઝળપાટ કરવી પડી રહી છે. દિવસેને દિવસે બગડી રહેલી સ્થિતિને કાબૂમાં લેવામાં તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું છે. આ બધામાં સૌથી ખરાબ જો કોઈની હાલત હોય તો તે છે હોમ આઈસોલેટ દર્દીની. ઘરમાં દાખલ હોય તેને ન તો પૂરતી માત્રામાં ઑક્સિજન મળી રહ્યો છે કે ન તો તેને વ્યવસ્થિત સારવાર મળી રહી. આ સમસ્યા વિકરાળ બનતી જતી હોવાને કારણે હવે શહેરની વિવિધ સોસાયટીઓ અને બિલ્ડિંગ્સ આગળ આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં રાજકોટના સૌથી મોટા એવા 22 માળના બિલ્ડિંગ સિલ્વર હાઈટસ દ્વારા આજથી આઇસોલેટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અંગે શહેરના જાણીતા બિલ્ડર મુકેશભાઈ શેઠે જણાવ્યું હતું કે સિલ્વર હાઈટસ બિલ્ડિંગમાં માથાથી લઈ પગ સુધીની બીમારીઓની સારવાર કરતાં 45થી વધુ ડોક્ટરો નિવાસ કરી રહ્યા છે. અને આ તબીબોની સેવા બિલ્ડિંગના 105 પરિવારોને મળી રહે તે માટે ક્લબ હાઉસમાં જ કોવિડ સેન્ટર ઉભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રારંભીક તબક્કે અહીં 6 બેડ ઉભા કરવામાં આવ્યા છે અને ઑક્સિજન, નર્સિંગ સ્ટાફ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સદ્ભાગ્યે હજુ સુધી એક પણ બેડ ઉપર દર્દી દાખલ નથી. આમ છતાં જો કોઈને હળવાં લક્ષણો હોય અને તે ઘરમાં દાખલ થવા માગતું ન હોય તો તે આ સેન્ટરમાં દાખલ થઈને સારવાર મેળવી શકશે.
મુકેશભાઈ શેઠે એમ પણ જણાવ્યું કે અત્યારે હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાને કારણે કોરોનાગ્રસ્ત દર્દીએ આમ-તેમ જવું પડી રહ્યું છે જેના કારણે ઘણો સમય વેડફાઈ જતો હોય છે. આ જ સ્થિતિને ધ્યાનમાં રાખી સિલ્વર હાઈટસના ગંભીર લક્ષણો ધરાવતાં કોઈ વ્યક્તિને બેડ ન મળે ત્યાં સુધી કોવિડ સેન્ટરમાં દાખલ કરીને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવશે. આ માટે ડો.કાંત જોગાણી (વોકહાર્ટ હોસ્પિટલ), ડો.સંકલ્પ વણઝારા (સ્ટર્લિંગ હોસ્પિટલ) ઉપરાંત ડો.સાવલિયા, ડો.જયેશ સોનવાણી, ડો.જનક ઠક્કર સહિતના 45 જેટલા તબીબો સેવા આપશે. અત્યારે સોસાયટી દ્વારા ઑક્સિનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર પડ્યે વધુ બેડ ઉભા કરવાની તૈયારી પણ કરી લેવામાં આવી છે.
અન્ય સોસાયટીઓ કોવિડ સેન્ટર ઉભું કરવા તૈયાર પણ ઑક્સિજન ક્યાં ? રાજકોટના નાનામવા મેઈન રોડ પર આવેલા સિલ્વર હાઈટસ બિલ્ડિંગમાં 6 બેડનું સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આવી જ રીતે શહેરમાં આવેલા ગાર્ડન સિટી બિલ્ડિંગમાં પણ સેન્ટર ઉભુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતા અને તબીબ, બેડ સહિતની વ્યવસ્થા કરી લેવાઈ હતી પરંતુ ઑક્સિજન નહીં મળવાને કારણે આ નિર્ણય રદ્દ કરવામાં આવ્યો છે. જ્યારે ડ્રિમ સિટી કે જ્યાં 370 પરિવારો વસવાટ કરે છે ત્યાં 15 બેડની વ્યવસ્થા કરાઈ હતી પરંતુ તેમને પણ ઑક્સિજન નહીં મળતાં અત્યારે તેઓ રઝળપાટ કરી રહ્યા છે. આ અંગે સોસાયટીના વધુ માં જણાવ્યું કે અહીં 65થી વધુ કેસ મળી આવ્યા છે જેમાંથી 10 જેટલા દર્દી હોસ્પિટલમાં દાખલ છે તો 55 જેટલા દર્દી ઘરે જ સારવાર મેળવી રહ્યા છે તો ત્રણ દર્દી મૃત્યુને ભેટ્યા છે.