India Covid Updates: ધીમી પડી કોરોનાની રફતાર, છેલ્લા 24 કલાકમાં 3157 નવા કેસ નોંધાયા, સક્રિય કેસની સંખ્યા 19500
Coronavirus in India: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,157 નવા કોવિડ (covid 19) કેસ નોંધાયા છે. આ દરમિયાન 26 લોકોના મોત થયા છે.
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના (Coronavirus) કેસમાં ઘટાડો નોંધાયો છે. હાલના દિવસોમાં કોરોનાની ઝડપ વધતી જોવા મળી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર કોવિડના દરરોજના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Ministry) ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,157 નવા કોવિડ કેસ નોંધાયા છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા વધીને 19,500 થઈ ગઈ છે. મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણને કારણે 26 લોકોના મોત થયા છે. રવિવારે દેશમાં 3,324 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આ રીતે, આજે દેશમાં કોવિડના ઓછા કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કેસની સંખ્યામાં 408નો વધારો થયો છે. આ રીતે, કોવિડના સક્રિય કેસ 19,500 થઈ ગયા છે. આ કુલ કોવિડ કેસના માત્ર 0.05 ટકા છે. આ સમય દરમિયાન 2,723 દર્દીઓએ કોરોના (Covid recovery rate) ને હરાવ્યો છે અને સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં 4,25,38,976 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ 98.74 ટકા છે. મંત્રાલયના ડેટા અનુસાર, કોવિડના કારણે 26 દર્દીઓના મોત બાદ મૃત્યુઆંક 5,23,869 પર પહોંચી ગયો છે. દેશમાં કોવિડ મૃત્યુ દર 1.22 ટકા છે.
દિલ્લીમાં કોરોનાનો પ્રકોપ
દિલ્લી-એનસીઆરમાં આ દિવસોમાં કોરોનાનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. રવિવારે, દિલ્હીમાં કોવિડ -19 ના 1,485 નવા કેસ નોંધાયા હતા અને એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જ્યારે કોરોના સંક્રમણ દર 4.89 ટકા નોંધાયો હતો. શહેરના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, નવા કેસ સાથે, રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં કોરોનાના કેસોની સંખ્યા 18,84,560 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 26,175 થયો છે. શનિવારે, શહેરમાં કોવિડ -19 ના 1,520 કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મૃત્યુ થયું હતું જ્યારે કોરોના સંક્રમણનો દર 5.10 ટકા નોંધાયો હતો. શુક્રવારે રાજધાની દિલ્લીમાં કોવિડ-19ના 1,607 કેસ નોંધાયા હતા અને બે દર્દીઓના મોત થયા હતા જ્યારે કોરોના સંક્રમણનો દર 5.28 ટકા નોંધાયો હતો.
દેશમાં કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઘણી જગ્યાએ ફરીથી નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતરનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કોરોનાના વધતા ખતરાને જોતા લોકોને નિયમોનું પાલન કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોનાનો સામનો કરવા માટે ઝડપી રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે.