દિલ્હી-મહારાષ્ટ્ર બાદ બંગાળમાં પણ કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં 9073 લોકો સંક્રમિત, જાણો ત્રણેય રાજ્યોની સ્થિતિ
મંગળવારે, દિલ્હીમાં કોવિડ -19 ના 5,481 નવા કેસ નોંધાયા, જે 16 મે પછી સૌથી વધુ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણનો દર 8.37 ટકા રહ્યો, જ્યારે સંક્રમણથી વધુ ત્રણ દર્દીઓના મોત થયા હતા.
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) અને તેનો નવો વેરીઅન્ટ ઓમીક્રોન (Omicron) ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સુધી, વાયરસના સંક્રમણને રોકવા માટે ફરીથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને નિયંત્રણો (Corona Rules) લાગુ કરવામાં આવી રહ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર બાદ હવે બંગાળમાં પણ કોરોનાનો ધડાકો થયો છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 9073 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 16 લોકોના મોત થયા છે. તે જ સમયે, 3,768 લોકોને રજા આપવામાં આવી હતી.
કોલકાતામાં 83 પોલીસ કર્મચારીઓ સંક્રમિત જોવા મળ્યા છે. આ સાથે કોલકાતા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 100 થી વધુ લોકો અને નોર્થ બંગાળ મેડિકલ કોલેજમાં 25 મેડિકલ સ્ટાફ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
મહારાષ્ટ્રમાં સ્થીતી બગડતી જણાઈ રહી છે
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના સંક્રમણના 10,860 નવા કેસ નોંધાયા છે, જેના કારણે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 8,18,462 થઈ ગઈ છે. દૈનિક કેસ ગત દિવસની સરખામણીએ 34.37 ટકા વધુ રહ્યા. કોવિડ-19ના બે દર્દીઓના મોત થયા છે, જેના કારણે મૃત્યુઆંક વધીને 16,381 થઈ ગયો છે. આ માહિતી BMC દ્વારા આપવામાં આવી છે. રાજ્યની હાલત પણ બગડતી જણાઈ રહી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડના 18466 કેસ મળી આવ્યા છે, જે અગાઉના દિવસ કરતાં લગભગ 52 ટકા અથવા 6,303 વધુ કેસ છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 67,30,494 થઈ ગઈ છે. તે જ સમયે, મૃત્યુઆંક વધીને 1,41,573 પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 75 નવા કેસ નોંધાયા છે, જે પછી આવા કેસોની સંખ્યા વધીને 653 થઈ ગઈ છે. ઓમિક્રોનના 75 કેસમાંથી ચાલીસ કેસ મુંબઈમાં, નવ થાણે શહેરમાં, આઠ પુણે શહેરમાં, પનવેલમાં પાંચ, કોલ્હાપુર અને નાગપુરમાં ત્રણ-ત્રણ, પિંપરી-ચિંચવડમાં બે અને ભિવંડી નિઝામપુર, ઉલ્હાસનગર, સાતારા, અમરાવતી અને નવી મુંબઈમાં એક – એક કેસ નોંધાયો છે.
દિલ્હીમાં કોરોના વાયરસના આંકડા
મંગળવારે, દિલ્હીમાં કોવિડ -19 ના 5,481 નવા કેસ નોંધાયા, જે 16 મે પછી સૌથી વધુ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણનો દર 8.37 ટકા રહ્યો, જ્યારે સંક્રમણથી વધુ ત્રણ દર્દીઓના મોત થયા હતા. આ માહિતી દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા પરથી મળી છે. ગયા વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોવિડ-19ના 6,456 નવા કેસ નોંધાયા હતા અને 262 દર્દીઓના મોત થયા હતા, જ્યારે સંક્રમણનો દર 10.4 ટકા હતો. મંગળવારનો સંક્રમણ દર 17 મે પછી સૌથી વધુ છે, જ્યારે તે 8.42 ટકા હતો.
કોરોના વાયરસના ઓમીક્રોન વેરીઅન્ટના કેસો પાછલા કેટલાંક દીવસોમાં ઝડપથી વધતા જોવા મળતા દિલ્હી સરકારે મંગળવારે 50 કે તેથી વધુ બેડ ધરાવતી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમને તેમના કુલ બેડના ઓછામાં ઓછા 40 ટકા બેડ કોવિડ દર્દીઓ માટે અનામત રાખવા જણાવ્યું હતું.