બેદરકારી : મહારાષ્ટ્રના એક ગામમાં Corona વિસ્ફોટ, મૃત્યુભોજ બાદ 93 લોકો થયા કોરોના પોઝીટીવ
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના પોટા ગામમાં મૃત્યુભોજ બાદ એકસાથે 93 લોકો થયા Corona પોઝીટીવ
હાલ દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. દેશમાં Corona ના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. મહારષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા 14 એપ્રિલથી 1 મે સુધી કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે.કોરોનાની સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો ગાઈડલાઈન બહાર પાડી છે અને કહ્યું છે જનતાએ કોરોના સંક્રમણથી બચવા શું કરવું અને શું ન કરવું. કોરોનાકાળમાં સરકારની આ ગાઈડલાઈનને ન અનુસરી બેદરકારી દાખવવી કેટલી ભારે પડી શકે છે એનું મોટું ઉદાહરણ છે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનું પોટા ગામ.
મૃત્યુભોજ બાદ 93 લોકો થયા કોરોના પોઝીટીવ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના પોટા ગામમાં મૃત્યુભોજ બાદ કોરોના બોમ્બ ફૂટ્યો છે. પોટા ગામમાં મૃત્યુભોજ બાદ આ મૃત્યુભોજમાં શામેલ થયેલા લોકોમાંથી એક સાથે 93 લોકો કોરોના સંક્રમિત થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બુલઢાણા જિલ્લાના પોટા ગામમાં અત્યાર સુધીમાં 93 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
આખા ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયું સ્થાનિક અધિકારીઓએ 700 થી વધુ લોકોની વસ્તી ધરાવતા પોટા ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યું છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં આ ગામમાં થયેલા ટેસ્ટીંગ કેમ્પમાં 15 ગ્રામજનોને Corona સંક્રમણ થયું હોવાનું સામે આવ્યું હતું અને થોડા દિવસો પછી યોજાયેલા બીજા કેમ્પમાં વધુ 78 લોકો કરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું. આ સંક્રમિતોમાંથી એક કોરોના દર્દીનું મોત પણ થયું છે.
મૃત્યુભોજમાં આવેલા મોટાભાગના લોકો સંક્રમિત પોટા ગામમાં કોરોના વિસ્ફોટ થયો એ પહેલા અહી એક મૃત્યુભોજ યોજાયો હતો. અને આ મેળાવડાને કારણે જ વધુ લોકો સંક્રમિત થયા હોવાનું માનવામાં આવે છે, જો કે અધિકારીઓએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. મળતી માહિતી મુજબ તાજેતરમાં ખામગાંવમાં કોવિડ-19 દર્દીના મોત બાદ પોટામાં તેરમાં દિવસે મૃત્યુભોજ યોજવામાં આવ્યો હતો. એક ગ્રામજને જણાવ્યું કે આ મૃત્યુભોજમાં ઘણા લોકો હાજર રહ્યા હતા, જેમાંથી ઘણાને હવે કોરોના સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે.
ગામમાં સતત ટેસ્ટીંગ શરૂ છે અધિકારીએ જણાવ્યું હતું કે ગામને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરીને સક્રમિત લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમણે માહિતી આપી હતી કે લક્ષણોવાળા દર્દીઓને કોવિડ સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે અને લક્ષણો વગરના લોકોને ઘરે એકાંતમાં રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.