Agnipath Scheme: અગ્નિપથ ભરતીમાં જાતિ પ્રમાણપત્ર માંગવા પરના હંગામા વચ્ચે સામે આવ્યું સેનાનું નિવેદન, જાણો શું કહ્યું
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે અગ્નિપથ યોજના (Agnipath Scheme) હેઠળ ભરતીમાં જાતિ પ્રમાણપત્ર અને ધર્મ પ્રમાણપત્રની માગ પર સવાલ ઉઠાવીને સરકારને ઘેરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિપથ યોજનાને (Agnipath Scheme) લઈને વિવાદ વધ્યો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે આ યોજના હેઠળ ભરતીમાં જાતિ પ્રમાણપત્ર (Caste Certificate) અને ધર્મ પ્રમાણપત્રની માગ પર સવાલ ઉઠાવતા સરકારને ઘેરી છે. આ દરમિયાન સેનાએ (Indian Army) પણ એક નિવેદન જાહેર કરીને આ મુદ્દે પોતાની સ્પષ્ટતા કરી છે. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે અગાઉ પણ તમામ આર્મી ભરતીમાં આવું થતું હતું. ઉમેદવારોએ તેમનું જાતિ પ્રમાણપત્ર અને ધર્મનું પ્રમાણપત્ર આપવાનું હતું. આ માત્ર અગ્નિપથ યોજના માટે જ કરવામાં આવ્યું નથી.
આ પહેલા આપ સાંસદ સંજય સિંહે મંગળવારે આ યોજનામાં જાતિ પ્રમાણપત્ર માંગવા પર કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું, મોદી સરકારનો ચહેરો દેશની સામે આવી ગયો છે. શું મોદીજી દલિતો/પછાત/આદિવાસીઓને સેનામાં ભરતી માટે લાયક નથી માનતા? ભારતના ઈતિહાસમાં પહેલીવાર સેનાની ભરતીમાં જાતિ પૂછવામાં આવી રહી છે. મોદીજી, તમારે ‘અગ્નવીર’ બનાવવાનો છે કે ‘જાતિવીર.’
ભાજપે કર્યો પલટવાર
સંજય સિંહની આ ટિપ્પણી બાદ ભાજપે પણ પલટવાર કર્યો છે. ભાજપના સોશિયલ મીડિયા સેલના પ્રમુખ અમિત માલવિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે 2013માં ભારતીય સેના તરફથી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જાતિ, ધર્મ અને ક્ષેત્રના આધારે કોઈ ભરતી કરવામાં આવતી નથી. તેમણે કહ્યું કે સેનાએ એ પણ જાણકારી આપી હતી કે કોઈપણ રેજિમેન્ટમાં કોઈપણ એક ક્ષેત્રના વધુ લોકોને રાખવા એ વહીવટી સગવડ અને કામની જરૂરિયાતને કારણે કરવામાં આવે છે.
The Army, in an affidavit filed before the SC in 2013, has made it clear that it does not recruit on the basis of caste, region and religion. It however justified grouping of people coming from a region in a regiment for administrative convenience and operational requirements… https://t.co/kYLZcC8THO
— Amit Malviya (@amitmalviya) July 19, 2022
વિપક્ષ સતત કરી રહ્યો છે ચર્ચાની માગ
મંગળવારે અગ્નિપથ યોજનાને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ અરજીઓની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવે. આ સિવાય અગ્નિપથ યોજનાને લઈને વિપક્ષ પણ સરકાર પર સતત નિશાન સાધી રહ્યું છે. વિપક્ષ તરફથી ચોમાસા સત્ર દરમિયાન સંસદમાં અગ્નિપથ યોજના પર ચર્ચાની માગ કરી રહ્યું છે.