Cyrus Mistryના અકસ્માત સમયે કાર ચલાવી રહેલી મહિલા Dr Anahita Pandole કોણ છે ? જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર
મળતી માહિતી અનુસાર આ કાર સાયરસ મિસ્ત્રીની પારિવારિક મિત્ર ડૉ. અનાહિતા પંડોલે ( Dr Anahita Pandole) ચલાવી રહી હતી. ચાલો જાણીએ કોણ છે ડૉ. અનાહિતા પંડોલે ?

8 સપ્ટેમ્બરના રોજ દેશના જાણીતા ઉદ્યોગપતિમાંથી એક સાયરસ મિસ્ત્રીનું એક માર્ગ અકસ્માતમાં નિધન થયું. તેઓ પોતાના મિત્રો સાથે નવસારીના ઉદેવાડા નામના પારસી ધાર્મિક સ્થળની મુલાકાત માટે આવ્યા હતા. ત્યાં તેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. પરત ફરતી વખતે અમદાવાદ- મુંબઈ હાઈવે પર તેમની ગાડીનો અકસ્માત થયો હતો. આ કારમાં સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry) સહિત બીજા 3 લોકો બેઠા હતા. આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી સહિત 2 લોકોના મોત થયા છે અને 2 લોકો ઘાયલ થયા છે. જેઓ હાલમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી અનુસાર આ કાર સાયરસ મિસ્ત્રીની પારિવારિક મિત્ર ડૉ. અનાહિતા પંડોલે ( Dr Anahita Pandole) ચલાવી રહી હતી. ચાલો જાણીએ કોણ છે ડૉ. અનાહિતા પંડોલે?
મુંબઈના ટોચના ગાયનેકોલોજિસ્ટ પૈકીના એક ડૉ. અનાહિતા પંડોલે. તેમણે પારસી સમુદાય માટે નોંધપાત્ર કામો કર્યા છે. પારસીઓની ઘટતી સંખ્યાને લઈને તે કામ કરી રહી છે. ડૉ. અનાહિતા પંડોલે એ પારસી વારસાના સંવર્ધન અને જાળવણી માટે પારસીઓને સબસિડીવાળા દરે પ્રજનનક્ષમતા સારવાર આપીને દેશવ્યાપી ઓળખ મેળવી હતી. વર્ષ 2004ના જાન્યુઆરી મહિનામાં ડૉ. અનાહિતા પંડોલે, બોમ્બે પારસી પંચાયતના સહયોગથી, બોમ્બે પારસી પંચાયત ફર્ટિલિટી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેનાથી પારસીઓને અત્યાધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી.
પારસી સમુદાય માટે કામ કરે છે ડૉ અનાહિતા પંડોલે
પારસી સમુદાયના વંધ્ય યુગલોને માતા-પિતા બનવામાં મદદ કરવા માટે સરકાર દ્વારા લાગુ થયેલી યોજના ‘જીયો પારસી કાર્યક્રમ’ માટે જરૂરી પદ્ધતિના વિચાર અને રચનામાં છે, ડૉ. અનાહિતા પંડોલે એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમની સાથે છેલ્લા એક દાયકાથી જોડાયેલા એક ડોક્ટરે જણાવ્યુ કે, “સમય સાથે, પારસી સમુદાયની વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. પારસીઓનો પ્રજનન દર 1ની નીચે ગયો છે. તેથી, ડૉ. પંડોલે યુગલોને ગર્ભધારણ કરવામાં મદદ કરવા માટે મદદનો હાથ આપ્યો.” ડૉ. અનાહિતા પંડોલે એ પર્ઝોર ફાઉન્ડેશનની મદદથી તેણીએ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય માટે ભારતમાં રહેતા તમામ પારસીઓનો વર્તમાન ડેટાબેઝ બનાવવામાં મદદ કરી હતી.
જિયો પારશી પ્રોગ્રામના ડૉ. અનાહિતાના એક સહયોગીએ જણાવ્યુ કે “આ યોજના હેઠળ પ્રકાશિત ત્રિમાસિક અહેવાલ મુજબ ડૉ.અનાહિતાએ આ વર્ષે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે મુંબઈમાં 18 યુગલોની સારવાર કરી હતી અને વર્ષોથી તે પ્રજનન ક્ષમતાની સારવાર ઉપરાંત, પારસી યુવાનો અને તેમના પરિવારોને વહેલા લગ્ન, યોગ્ય સમયે ગર્ભધારણ અને સ્વયંસેવકોને તાલીમ આપવા માટે સલાહ આપી રહ્યા છે.
ડૉક્ટર હોવા સાથે સાથે ડૉ અનાહિતા પંડોલે સમુદાય સેવા માટે પ્રતિબદ્ધ સક્રિય નાગરિક છે. અનેક વાર તેમણે ગેરકાયદે હોર્ડિંગ્સ સામે અવાજ ઉઠાવ્યો છે. ગયા અઠવાડિયે જ તેમણે BMCને પત્ર લખ્યો. તેમણે પત્ર લખીને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પર ફૂટપાથ પર ઉભા કરાયેલા હોર્ડિંગ્સનો વિરોધ કર્યો હતો. તે વહાનચાલકો માટે જોખમ રુપ હતા. આ અકસ્માત કેસમાં હાલ તપાસનો ધમધમાટ ચાલુ છે અને ઘાયલ ડૉ.અનાહિતા હાલ સારવાર હેઠળ છે.