ખેડુતોની આવક બમણી કરવાના વચનને પૂરું કરવા સરકાર હવે ગાય અને ભેંસનુ છાણ ખરીદશે
ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશથી કેન્દ્ર સરકારે ગોબરધન યોજના (Gobardhan scheme) યોજના શરૂ કરી છે. આ યોજના થકી ખેડૂતો તેમની ખેતી ઉપરાંત પશુપાલનના વ્યવસાયથી પણ વધુ આવક રળી શકશે.
કેન્દ્ર સરકારે એક પોર્ટલ શરૂ કર્યું છે જે ગામના ખેડુતોની આવકમાં વધારો કરશે. કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગોબરધન યોજના (Gobardhan scheme)દ્વારા ખેડુતો ખેતી ઉપરાંત પણ નાણાં કમાઇ શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડુતોને 2022 સુધીમાં તેમની આવક બમણી કરવાનું વચન આપ્યું છે અને કેન્દ્ર સરકારે આજે આ જ દિશામાં વધુ એક મોટું પગલું ભર્યું છે.
શું છે ગોબર ધન પોર્ટલ ? કેન્દ્ર સરકારે ખેડૂતોની આવકને ધ્યાનમાં રાખીને બુધવારે ગોબરધન પોર્ટલ શરૂ કર્યો છે. યોજના સાથે સંબંધિત તમામ માહિતી આ યુનિફાઇડ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ખેડુતોને 1 લાખ કરોડની આવક થશે.
ગોબર ધન યોજના શું છે ? સરકારે આ યોજનાને બજેટ 2018 માં જાહેર કરી હતી. આ ગોબર ધન યોજનાનો ઉદ્દેશ્ય છે કે ગામડાઓને શુદ્ધ બનાવવામાં આવે. પશુઓના ગોબર અને ખેતરોના નક્કર કચરાને ખાતર તેમજ બાયો-ગેસમાં રૂપાંતરિત કરવું, તેમાંથી પૈસા અને ઉર્જા ઉત્પન્ન થશે.
પોર્ટલ કેવી રીતે કામ કરશે ? કેન્દ્રીય મંત્રી રતનલાલ કટારિયાએ જણાવ્યું હતું કે, જો કોઈ ખેડૂતને બાયોગેસ અથવા ઇથેનોલના ઉત્પાદન સંબંધિત માહિતીની જરૂર હોય, તો તે આ પોર્ટલની મુલાકાત લઈને માહિતી એકત્ર કરી શકે છે. જો બાયોગેસ પ્લાન્ટને લગતી લોન અથવા કોઈપણ પ્રકારની આર્થિક સહાયની જરૂર હોય, તો તે પોર્ટલ દ્વારા પણ શક્ય છે.
રાજ્ય સરકારો માહિતી પ્રદાન કરશે સંબંધિત રાજ્યમાં કૃષિ સંબંધિત ઉત્પાદનો અને મશીનરીને લગતી માહિતી પણ પોર્ટલ દ્વારા જાહેર કરવામાં આવશે.