
આજના સમયમાં માત્ર વધુ કમાણી કરવી પૂરતી નથી, પરંતુ કમાયેલા પૈસાનું યોગ્ય આયોજન કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ બની ગયું છે. મોટાભાગના નોકરીયાત લોકો માટે દર મહિને એક જ સમસ્યા હોય છે-પગાર આવ્યા પછી ભાડું, EMI, વીજળી બિલ, બાળકોની ફી અને ઘરખર્ચમાં મોટો ભાગ ખર્ચાઈ જાય છે. પરિણામે બચત અને રોકાણ માટે ખૂબ ઓછી રકમ બાકી રહે છે. આવી સ્થિતિમાં “50-30-20” બજેટિંગ ફોર્મ્યુલા નાણાકીય આયોજન માટે અસરકારક અને સરળ ઉપાય તરીકે જોવામાં આવે છે.
આ નિયમ અનુસાર વ્યક્તિએ ટેક્સ બાદ મળતી પોતાની ઇનહેન્ડ સેલેરીને ત્રણ ભાગમાં વહેંચવી જોઈએ. તેમાં 50 ટકા રકમ જરૂરી ખર્ચ માટે રાખવામાં આવે છે, 30 ટકા રકમ વ્યક્તિગત લાઇફસ્ટાઇલ અને શોખ માટે અને બાકી 20 ટકા બચત તથા રોકાણ માટે ફાળવવામાં આવે છે.
જરૂરી ખર્ચમાં ઘરભાડું, રાશન, વીજળી-પાણીના બિલ, બાળકોની ફી, ઈન્શ્યોરન્સ અને EMI જેવા ખર્ચનો સમાવેશ થાય છે. જ્યારે બહાર જમવું, ફરવા જવું, શોપિંગ અને મનોરંજન જેવી બાબતો 30 ટકા ભાગમાં આવે છે.
ઘણાં નોકરીયાત લોકો માટે ઘરભાડું સૌથી મોટો માસિક ખર્ચ હોય છે. નાણાકીય નિષ્ણાતોના મતે, ઘરભાડું વ્યક્તિની ઇનહેન્ડ સેલેરીના 25 થી 30 ટકા વચ્ચે હોવું વધુ યોગ્ય માનવામાં આવે છે. જો ભાડાનો ખર્ચ વધુ વધી જાય તો બચત અને રોકાણ પર સીધી અસર પડે છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ દર મહિને ₹1 લાખ કમાય છે તો તેનું ભાડું આશરે ₹25 હજારથી ₹30 હજાર વચ્ચે રહેવું યોગ્ય ગણાય. આથી અન્ય જરૂરી ખર્ચ અને રોકાણ માટે પૂરતી રકમ બચી રહે છે.
આજકાલ હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સામાન્ય બની ગયા છે. પરંતુ વધુ EMI માસિક બજેટને ખોરવી શકે છે. ફાઈનાન્સ નિષ્ણાતો કહે છે કે કુલ EMI વ્યક્તિની માસિક આવકના 30 થી 40 ટકા કરતાં વધુ ન હોવી જોઈએ.
જો પગારનો મોટો હિસ્સો EMIમાં જ ખર્ચાઈ જાય તો અચાનક આવતી તબીબી જરૂરિયાતો અથવા ઇમરજન્સી પરિસ્થિતિમાં આર્થિક દબાણ વધી શકે છે. તેથી કોઈપણ નવી લોન લેતા પહેલા તેની EMI તમારા બજેટ મુજબ છે કે નહીં તે ચોક્કસ ચકાસવું જોઈએ.
લાંબા ગાળે સંપત્તિ બનાવવામાં SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સૌથી સરળ અને અસરકારક રીત માનવામાં આવે છે. દર મહિને નક્કી કરેલી રકમ રોકાણ કરવાથી કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે અને સમય જતાં મોટું ફંડ તૈયાર થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિ 25 વર્ષની ઉંમરથી દર મહિને ₹5,000ની SIP શરૂ કરે અને સમય સાથે રોકાણની રકમ વધારતો જાય તો નિવૃત્તિ સુધીમાં કરોડો રૂપિયાનું ફંડ તૈયાર થઈ શકે છે. તેથી 20 ટકા બચતના ભાગમાંથી મોટો હિસ્સો SIP અને અન્ય રોકાણ વિકલ્પોમાં મૂકવાની સલાહ આપવામાં આવે છે.
માત્ર રોકાણ કરવું પૂરતું નથી. નાણાકીય સુરક્ષા માટે ઇમરજન્સી ફંડ અને ઇન્શ્યોરન્સ બંને અત્યંત મહત્વપૂર્ણ છે. હેલ્થ ઇન્શ્યોરન્સ તબીબી ખર્ચ સામે રક્ષણ આપે છે, જ્યારે ટર્મ ઇન્શ્યોરન્સ પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવે છે.
નિષ્ણાતોના મતે ઓછામાં ઓછા 6 મહિનાના જરૂરી ખર્ચ જેટલું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. નોકરી ગુમાવવી, ગંભીર બીમારી અથવા મોટા ખર્ચ જેવી પરિસ્થિતિમાં આ ફંડ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
ઘણા લોકો સેલેરી વધતા પોતાના ખર્ચમાં પણ વધારો કરી દે છે. આ સ્થિતિને “લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન” કહેવાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે આવક વધે ત્યારે SIP અને બચતની રકમમાં પણ વધારો કરવો જોઈએ.
જો રોકાણને ઓટો-ડેબિટ મોડ પર સેટ કરવામાં આવે તો નિયમિત રોકાણ સરળ બની જાય છે અને લાંબા ગાળે મોટું નાણાકીય ફંડ તૈયાર કરવામાં મદદ મળે છે.
50-30-20 નિયમની સૌથી મોટી ખાસિયત તેની સરળતા છે. આ ફોર્મ્યુલા વ્યક્તિને સમજાવે છે કે પગારનો કેટલો ભાગ ક્યાં ખર્ચવો જોઈએ. યોગ્ય રીતે અપનાવવામાં આવે તો આ પદ્ધતિ આર્થિક તણાવ ઘટાડવામાં, બચત વધારવામાં અને ભવિષ્યના મોટા નાણાકીય લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ બની શકે છે.