Dollar vs Rupee : ડોલર સામે રૂપિયો ઐતિહાસિક સ્તરે ગગડ્યો, 2014થી અત્યાર સુધી 25 ટકા તૂટ્યો
19 જુલાઈના ટ્રેડિંગ સેશનમાં (trading session) ભારતીય રૂપિયો પ્રથમ વખત 80 ના સ્તરને પાર કરી ગયો છે. એવું માનવામાં આવે છે કે રૂપિયામાં આ ઘટાડો વૈશ્વિક બજારોમાં મંદીની આશંકા, યુએસમાં વધતી મોંઘવારી (inflation) અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાના કારણે આવ્યો છે.
રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો (Dollar vs Rupee) 80ના ઐતિહાસિક અને મનોવૈજ્ઞાનિક સ્તરે સરકી ગયો હતો. આજે સવારે ડોલર સામે રૂપિયો 7 પૈસાના ઘટાડા સાથે 80.05 પર ખુલ્યો હતો. સોમવારે ડોલર સામે રૂપિયો 16 પૈસા ઘટીને 79.98 ના સ્તર પર બંધ થયો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ટ્રેડિંગ દરમિયાન સોમવારે જ તે 80ના સ્તરને પાર કરી ગયો હતો. રૂપિયા માટે 80 એક મનોવૈજ્ઞાનિક સ્તર હતું. નિષ્ણાતોનું કહેવું છે કે હવે રૂપિયામાં ભારે ઘટાડો શક્ય છે. તે ફ્રી ફોલ તરફ આગળ વધી રહ્યો છે, કારણ કે મનોવૈજ્ઞાનિક ભંગાણ પછી સેન્ટિમેન્ટ નકારાત્મક થઈ ગયું છે.
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ મીડીયા સાથેની વાત-ચીતમાં કહ્યું છે કે અત્યારે બજારમાં સંપૂર્ણ અનિશ્ચિતતા છે. તેમણે કહ્યું કે ડોલર સામે રૂપિયો 80.20ના સ્તરે ગગડી શકે છે. જો આ સ્તર તૂટશે તો રૂપિયો 80.40 તરફ જશે. રૂપિયા માટે પહેલો સપોર્ટ 79.90 લેવલ છે. જો વધુ મજબૂતાઈ આવે તો, આ બીજો સપોર્ટ 79.70 ના સ્તરે છે.
25 ટકા સુધી ગગડ્યો રૂપિયો
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે ગૃહમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર 2014થી રૂપિયામાં 25 ટકાનો ઘટાડો થયો છે. આ માટે તેમણે પ્રથમ બે મહત્વપૂર્ણ પરિબળોને જવાબદાર ગણાવ્યા. પ્રથમ ક્રૂડ ઓઈલની કિંમત અને બીજી યુક્રેન પર રશિયાનો હુમલો. જણાવી દઈએ કે યુક્રેન પર હુમલા બાદ જ કાચા તેલની કિંમતો વધવા લાગી હતી અને તે પ્રતિ બેરલ 140 ડોલરના સ્તરે પહોંચી ગઈ હતી. ભારત તેની જરૂરિયાતના 85 ટકા તેલની આયાત કરે છે. આવી સ્થિતિમાં ભારત માટે ક્રૂડની કિંમત ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
છેલ્લા આઠ વર્ષમાં કેવી રીતે આવ્યો રૂપિયામાં ઘટાડો ?
આરબીઆઈના ડેટા અનુસાર, 31 ડિસેમ્બર, 2014ના રોજ ડોલર સામે ભારતીય રૂપિયાનો વિનિમય દર 63.33 રૂપિયા હતો. 31મી ડિસેમ્બર 2015 ના રોજ પ્રતિ ડોલર વિનિમય દર 66.33 રૂપિયા, ડિસેમ્બર 2016માં 67.95 રૂપિયા, 29 ડિસેમ્બર 2017માં 63.93 રૂપિયા 31 ડિસેમ્બર 2018ના રોજ 69.79 રૂપિયા, 31 ડિસેમ્બર 2019ના રોજ 71.27 રૂપિયા, 31 ડિસેમ્બર 2020ના રોજ 73.05 રૂપિયા અને 31 ડિસેમ્બર 2021ના રોજ 74.30 રૂપિયા નોંધાયો હતો. આજે તે 80ને પાર કરી ગયો છે.
વિદેશી રોકાણકારોના વેચવાલીની પણ અસર
નાણામંત્રીએ કહ્યું કે વિદેશી પોર્ટફોલિયો મૂડીનો આઉટફ્લો ભારતીય રૂપિયામાં ઘટાડાનું એક મુખ્ય કારણ છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ નાણાકીય વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી આશરે 14 બિલિયન ડોલરનો ઉપાડ કર્યો છે. સીતારમણે કહ્યું કે માત્ર વિનિમય દર અર્થતંત્રને અસર કરતા પરિબળોમાંનું એક છે. તેમણે કહ્યું કે કોઈ પણ મુદ્રાના મૂલ્યમાં ઘટાડો થવાથી નિકાસ સ્પર્ધામાં વધારો થવાની સંભાવના રહે છે જે બદલામાં અર્થતંત્ર પર સકારાત્મક અસર કરે છે.