કોરોનાના કહેર અને લોકડાઉનની દહેશત વચ્ચે ઉત્તર અને દક્ષિણ ભારત જતી ટ્રેનોમાં 15 જૂન સુધી રિઝર્વેશન ફૂલ થયા
ફરી લોકડાઉન લદાવાની દહેશત લોકોમાં ઘર કરી રહી છે જેને લઈ ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયો પહેલી ટ્રેન (Train ) પકડી વતન ભણી દોટ લગાવી રહ્યા છે.
ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર, ઇન્જેક્શનઓની અછતની ઉભી થયેલી સ્થિતિ વચ્ચે વધતા કોરોનાના કેસોથી હવે જો સ્થિતિ કન્ટ્રોલમાં ન આવે તો ફરી લોકડાઉન લદાવાની દહેશત લોકોમાં ઘર કરી રહી છે જેને લઈ ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયો પહેલી ટ્રેન (Train ) પકડી વતન ભણી દોટ લગાવી રહ્યા છે.
ગત વર્ષે લોકડાઉનમાં ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 35 વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવી 45000 થી વધુ પરપ્રાંતિયોને વતન રવાના કરાયા હતા. ભરૂચ હાઇવે પરથી ચાલતા તેમજ જે વાહનો મળે તેમાં સવાર થઈ વતન જવા માટે ઉમટી પડેલા શ્રમિક પરિવારોની હિજરતનો આંક તો ગણી શકાય તેમ ન હતો.
આ વર્ષે કોરોનાનો બીજી લહેર ઘાતક સાબિત થી રહી છે ગુજરાતમાં વધતા કેસો અને મૃત્યુ વચ્ચે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને ઇન્જેક્શનોની ગંભીર કટોકટીની સ્થિતિ ઉદભવી રહી છે. રાત્રી કરફ્યુ, સ્વૈચ્છીક લોકડાઉન સહિતના પગલાં છતાં કાતિલ કોરોનાનું સંક્રમણ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ રહ્યું છે ત્યારે છેલ્લે ફરી લોકડાઉન એ જ વિકલ્પની દહેશતને લઈ ગુજરાતમાં રોજીરોટી માટે સ્થાયી પરપ્રાંતીય પરિવારો ફરી ચિંતિત થઈ ઉઠ્યા છે.
રેલવેમાં હવે ઉત્તર અને દક્ષિણ ભારતની ટ્રેનોમાં રિઝર્વેશન ફૂલ થઈ રહ્યા છે. ભરૂચ-અંકલેશ્વર, વડોદરા, સુરતથી પસાર થતી બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત સાઉથની સ્પેશ્યલ ટ્રેનોમાં રિઝર્વેશન 15 જૂન સુધી ફૂલ થઈ ગયું છે. ઉત્તર ભારત અને સાઉથની ટ્રેનોમાં ભરૂચ-અંકલેશ્વરથી જ વેઇટિંગનો આંકડો આગામી 52 દિવસ સુધી 48 થી લઈ 133 થી વધુનો થઈ ગયો છે.