ફરી છેતરી ગયું..! પંજાબ નેશનલ બેંક સામે 2,434 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ, SREI ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ
PNB એ SREI ગ્રુપની બે કંપનીઓ સામે ₹2,434 કરોડના લોન કૌભાંડની RBI ને જાણ કરી છે. SREI ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ અને SREI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સામે છેતરપિંડીનો આરોપ છે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક (PNB) એ 2,434 કરોડ રૂપિયાના લોન કૌભાંડની જાણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને કરી છે. આ મામલે SREI ગ્રુપની બે કંપનીઓ સામે છેતરપિંડીના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે, જેના કારણે બેંકિંગ ક્ષેત્રમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.
PNB દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કૌભાંડમાં SREI ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ લિમિટેડ અને SREI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ સામેલ છે. બંને કંપનીઓના ભૂતપૂર્વ પ્રમોટર્સ આ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે. બેંકે આ બાબતની સત્તાવાર માહિતી સ્ટોક એક્સચેન્જને પણ આપી છે.
બેંકના જણાવ્યા મુજબ, SREI ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ સંબંધિત છેતરપિંડીની રકમ અંદાજે 1,241 કરોડ રૂપિયા છે, જ્યારે SREI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સાથે જોડાયેલ કૌભાંડની રકમ આશરે 1,193 કરોડ રૂપિયા છે. જો કે રાહતની વાત એ છે કે PNBએ બંને કેસમાં બાકી રહેલી રકમ માટે 100 ટકા જોગવાઈ (Provision) કરી લીધી છે, જેના કારણે બેંકના નાણાકીય પરિણામો પર સીધી અસર થવાની શક્યતા નથી.
NCLT હેઠળ ઠરાવ પ્રક્રિયા પૂર્ણ
બંને કંપનીઓના કેસ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) હેઠળ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં ચાલી રહ્યા હતા. NCLT દ્વારા આ કેસોના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ, ઓગસ્ટ 2023માં નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (NARCL) ની યોજના મંજૂર થયા પછી કંપનીઓના બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું.

SREI ગ્રુપનો ભૂતકાળ
SREI ગ્રુપે વર્ષ 1989માં ફાઇનાન્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને ખાસ કરીને બાંધકામ સાધનોના ધિરાણ (Construction Equipment Financing) ક્ષેત્રમાં તેની મજબૂત હાજરી હતી. પરંતુ નબળા નાણાકીય વ્યવસ્થાપન અને મોટા પાયે ડિફોલ્ટ્સના કારણે, ઓક્ટોબર 2021માં કંપનીને નાદારીની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.
PNBની નાણાકીય સ્થિતિ કેવી છે?
PNBના તાજા આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં બેંકની કુલ જોગવાઈઓ 643 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જે ગયા વર્ષની તુલનામાં વધુ છે. સાથે જ બેંકનો પ્રોવિઝન કવરેજ રેશિયો (PCR) વધીને 96.91 ટકા થયો છે. નિષ્ણાતોના મત મુજબ, આ આંકડો બેંકની સંપત્તિ ગુણવત્તા માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
હવે આવકવેરો ભરવો બનશે એક દમ સરળ, જાણો કેવી રીતે
