PNB SCAM ના આરોપી NIRAV MODI એ પ્રત્યાર્પણ અટકાવવા હવે આ પેંતરો અજમાવ્યો , જાણો વિગતવાર
નીરવ મોદીના વકીલોએ તેના માનસિક સ્વાસ્થ્ય માટેના ખતરા વિશે રજુઆત કરી હતી. તેમણે કહ્યું કે જો નીરવ મોદીને પ્રત્યાર્પણ કરવામાં આવે તો તેમના માટે આત્મહત્યા કરવાની પરિસ્થિતિ આવી શકે છે.
PNB સાથે છેતરપિંડીના આરોપી ડાયમંડ કારોબારી નીરવ મોદી(Nirav Modi)એ પ્રત્યાર્પણ અટકાવવા વધુ એક પેંતરો અજમાવ્યો છે. બેંક સાથેના કૌભાંડનો આરોપી નીરવે બુધવારે કહ્યું હતું કે બ્રિટનમાંથી તેનું પ્રત્યાર્પણ થવું ન જોઈએ . ભારતની જેલની નબળી સ્થિતિને ટાંકીને તેની આત્મહત્યા કરવા જેવી પરિસ્થિતિ બનવાનો તેણે ભય વ્યક્ત કર્યો છે. મોદીના વકીલે કહ્યું કે ડોકટરોની અછત અને ભીડ વધારે હોવાને કારણે જરૂર પડે ત્યારે કેદીઓને હોસ્પિટલમાં લઈ જવામાં વિલંબ થાય છે.
નીરવ મોદીની માનસિક સ્થિતિ સારી ન હોવાની દલીલ વકીલોએ નીરવ મોદીના માનસિક સ્વાસ્થ્ય માટેના ખતરા વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે જો નીરવ મોદીને પ્રત્યાર્પણ કરવામાં આવે તો તેમના માટે આત્મહત્યા કરવાની પરિસ્થિતિ આવી શકે છે. આ કારણે પ્રત્યાર્પણ થવું જોઈએ નહીં. નીરવ મોદીએ મુંબઈની આર્થર રોડ જેલની ખરાબ પરિસ્થિતિ હોવાનું કહ્યું હતું. નીરવના વકીલે જણાવ્યું હતું કે આર્થર રોડ જેલમાં ડોક્ટર સાથેની પ્રાઇવેટ કન્સલ્ટન્ટની ક્યારેય મંજૂરી મળી નથી. તેમણે કહ્યું કે મોદીની માનસિક સ્થિતિ મજબૂત નથી અને વધતા દબાણને કારણે તેઓ માનસિક બીમાર થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં કોરોના વધી રહ્યો હોવાની રજુઆત પ્રત્યાર્પણ વિરુદ્ધની પોતાની અપીલમાં નીરવ મોદીએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધી રહ્યા છે અને જેલમાં પણ અસર પડી રહી છે. આરોગ્ય સુવિધાઓની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. યુકે હાઇકોર્ટમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલના પ્રથમ તબક્કામાં પરાજિત મોદીએ નવી અપીલ દાખલ કરી છે. બ્રિટનની ગૃહ સચિવ પ્રીતિ પટેલે મોદીના પ્રત્યાર્પણના આદેશ આપ્યા હતા.
નીરવ મોદીની 2019માં ધરપકડ કરવામાં આવી હતી નીરવ મોદીની 20 માર્ચ, 2019 ના રોજ લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. પછી તે જ દિવસે નીરવ મોદીને વેન્ડસવર્થ જેલમાં મોકલવામાં આવ્યા. અહીં તે 29 માર્ચ સુધી રહ્યો હતો. તે જ દિવસે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે પણ તેમની બીજી જામીન અરજી નામંજૂર કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે નીરવ મોદીએ પોતાને શરણાગતિ ન આપી હોવાના પૂરતા પુરાવા છે. તે અનેક સુનાવણી દરમિયાન વિડિઓ લિંક દ્વારા જોડાયો હતો.
નીરવ મોદી પર શું આરોપ છે ? નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ મળીને પંજાબ નેશનલ બેંકને 11 હજાર કરોડથી વધુની છેતરપિંડી કરી છે. બેંકના ઘણા અધિકારીઓ પણ આ કામમાં સંડોવાયેલા છે. છેતરપિંડીનું આ કારસ્તાન કાયદેસરના લેટરપેડ દ્વારા કરવામાં આવ્યું હતું. જે મામલે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગ હેઠળના બે કેસ નોંધાયા હતા. 2018 માં, ઇન્ટરપોલ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ફટકારી હતી. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં છે.