કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષના અંત પહેલા જીવન વીમા નિગમ (LIC) ની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) લાવવા માગે છે. નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડે આ માહિતી આપી હતી. મર્ચન્ટ બેન્કર્સ અને કાનૂની સલાહકારોની નિમણૂક માટે સરકારે અરજીઓ મંગાવી છે. સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ માટે LIC નો ઈશ્યુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ સરકાર ઇચ્છે છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં જ IPO લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે, જેમાં સરકારનો 100% હિસ્સો છે. LICના IPO દરમિયાન ઓછામાં ઓછા એક કરોડ નવા ડીમેટ ખાતા ખુલવાની ધારણા છે.
દેશનો સૌથી મોટો IPO
આ ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) કહેવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ 2021 2022 માં સરકારે રૂ. 1.75 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્યાંક રાખ્યું છે જ્યારે અત્યાર સુધી સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટથી માત્ર 7,645,70 કરોડ રૂપિયા જ મળી શક્યા છે.
પોલિસીધારકો માટે 10% હિસ્સો રિઝર્વ
ભારતના ઇતિહાસના સૌથી મોટા IPOમાં પોલિસીધારકો માટે પણ 10% હિસ્સો અનામત રાખવામાં આવશે. LICએ પોલિસીધારકોને આઇપીઓમાં ફાળવણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપનીએ પોલિસીધારકોનો ડેટાબેસ બનાવવાનું શરૂ કર્યું છે કારણ કે કંપની પાસે 29 કરોડથી વધુ પોલિસીધારકો છે.
નાણામંત્રીએ બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી
નાણા પ્રધાન નિર્મલા સીતારામણે આ વર્ષે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં BPCL, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેઈનર કોર્પ ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, BEML, પવન હંસ, નિલાચલ ઇસ્પાત નિગમ અને અન્ય ઘણી કંપનીઓ વેચવાની યોજના છે.
વેલ્યુએશન વધારવા પ્રયાસ
જીવન વીમા નિગમ તેની વેલ્યુએશન શક્ય તેટલી વધારવાનું કામ કરી રહ્યું છે. આ ઉપરાંત આંતરિક કાર્યક્ષમતા અને ઉત્પાદનના પુનર્ગઠન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે આઈપીઓ સમક્ષ એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને ડેલોઇટને સલાહકારો તરીકે પસંદ કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે.