18 વર્ષની ઉંમરે 40 કરોડનું દેવું અને 175 કોર્ટ કેસ… જાણો ₹16,000 કરોડના બેટા ગ્રુપના માલિકની અદ્ભુત કહાણી!
મુશ્કેલીઓ સામે હાર માનવાને બદલે અથાગ પરિશ્રમ અને દ્રઢ મનોબળથી સફળતાનું શિખર સર કરનાર 67 વર્ષીય જે. રાજમોહન પિલ્લાઈ આજે યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. દાયકાઓના સંઘર્ષ બાદ, તેમણે બેટા ગ્રુપને એક મલ્ટીનેશનલ કંપની બનાવી.

મુશ્કેલીઓ સામે હાર માનવાને બદલે અથાગ પરિશ્રમ અને દ્રઢ મનોબળથી સફળતાનું શિખર સર કરનાર 67 વર્ષીય જે. રાજમોહન પિલ્લાઈ આજે યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તે હાલમાં 2 અબજ ડોલરનો બિઝનેસ ધરાવતા બેટા ગ્રુપના (Beta Group) ચેરમેન છે. તેમનું ગ્રુપ કાજુ પ્રોસેસિંગ, પેકેજ્ડ ફૂડ્સ, લોજિસ્ટિક્સ અને એન્ટરટેઇનમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છે.
18 વર્ષની ઉંમરે 40 કરોડ દેવાનો સામનો
રાજમોહન જ્યારે 18 વર્ષના હતા અને B.Com ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે પિતાની તબિયત લથડતાં તેમણે અચાનક કૌટુંબિક વ્યવસાય સંભાળવો પડ્યો હતો. તેમની સામે સફળ બિઝનેસ નહીં પરંતુ દેવામાં ડૂબેલી કંપની હતી. તે સમયે પરિવાર પાસે ₹3 કરોડની સંપત્તિ સામે ₹40 કરોડનું દેવું હતું અને 175 જેટલા કાનૂની કેસ પેન્ડિંગ હતા. પ્રોપર્ટી અને વાહનો પણ જપ્ત થઈ ગયા હતા.
27 વર્ષનો અથાક સંઘર્ષ અને દેવામુક્તિ
બેંકો અને સરકારી એજન્સીઓ રકમ ચૂકવવા દબાણ કરી રહી હતી. એક તબક્કે તેમણે વ્યાજ પેટે જ દર મહિને ₹55 લાખ ચૂકવવા પડતા હતા. પોતાના ભાઈ રાજન પિલ્લાઈના અવસાન બાદ તેમના પર વધુ 103 મિલિયન ડોલરની જવાબદારી આવી પડી હતી. પરંતુ હાર માનવાને બદલે તે આગામી 27 વર્ષ સુધી સતત મહેનત કરી તમામ દેવું ચુકવવાનું લક્ષ્ય બનાવ્યું અને નફા કરતા કંપનીને દેવામુક્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
દેવામાંથી બેટા ગ્રુપનું નિર્માણ
દાયકાઓના સંઘર્ષ બાદ, તેમણે બેટા ગ્રુપને એક મલ્ટીનેશનલ કંપની બનાવી. આ સફળતા માત્ર સંપત્તિ કમાવવાની નથી. પરંતુ વિષમ પરિસ્થિતિઓ સામે લડીને પોતાનું ભાગ્ય જાતે લખવાની એક અદ્ભુત વાત છે.
સામાજિક ફાઉન્ડેશન
તેમણે તેમના સ્વર્ગસ્થ પિતા કે. જાનાર્દનન પિલ્લાઈની સ્મૃતિમાં KJP રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ફાઉન્ડેશન કાજુ અને અન્ય બાગાયતી પાકોના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ માટે કાર્ય કરે છે. તેમણે તેમના ભાઈ રાજન પિલ્લાઈની સ્મૃતિમાં રાજન પિલ્લાઈ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી હતી. આ ફાઉન્ડેશન કલા, રમતગમત, સામાજિક વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપીને માનવતાની સેવા માટે કાર્ય કરે છે. રાજન પિલ્લાઈ ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય સંબંધો, સામાજિક કલ્યાણ સેવાઓ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને પુરસ્કાર આપવા માટે વિવિધ એવોર્ડની સ્થાપના અને રજૂઆત પણ કરે છે.
