મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ(Ease of Doing Business) પર ખાસ ધ્યાન આપ્યું છે. બજેટ રજૂ કરતી વખતે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે તેમની સરકાર લગભગ દોઢ હજાર બિન-આવશ્યક કાયદાઓને રદ કરીને દેશમાં વેપાર કરવાનું સરળ બનાવી રહી છે.
છેલ્લા બે વર્ષમાં 25 હજારથી વધુ નિયમો પાછા ખેંચવામાં આવ્યા છે. આ નિર્ણયોની અસર હવે દેખાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર નવો બિઝનેસ શરૂ કરવાની સરળતાના મામલે ભારત વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ ગયું છે. 500 રિસર્ચર્સના ગ્રૂપે એક રિપોર્ટમાં આ માહિતી આપી છે. ઓછી આવક ધરાવતા અર્થતંત્રમાં ભારત ટોચ પર છે. દુબઈ એક્સ્પોમાં રજૂ કરાયેલ ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ મોનિટો 2021/2022 રિપોર્ટમાં 47 ઉચ્ચ, મધ્યમ અને ઓછી આવક ધરાવતી અર્થવ્યવસ્થાઓના 2,000 સહભાગીઓના મંતવ્યો પર આધારિત આ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે.
ભારતીય સહભાગીઓએ તેમની ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિ, એન્ટરપ્રાઇઝ પ્રત્યેના અભિગમ અને સ્થાનિક ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. લગભગ 82 ટકા સહભાગીઓએ કહ્યું કે ભારતમાં બિઝનેસ શરૂ કરવો સરળ છે. આ મામલામાં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે. લગભગ 83% સહભાગીઓ માને છે કે તેમના વિસ્તારમાં વ્યવસાય શરૂ કરવાની સારી તકો છે. આ આંકડો વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે. વધુમાં ભારતમાં 86 ટકા સહભાગીઓએ જણાવ્યું હતું કે તેમની પાસે વ્યવસાય શરૂ કરવા માટે કુશળતા અને જ્ઞાન છે. આ આંકડો વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે.
વધુમાં 54 ટકાએ જણાવ્યું હતું કે તેઓ નિષ્ફળતાના ડરથી આગામી ત્રણ વર્ષમાં નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા નથી. આનાથી ભારત 47 સ્થળોની યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે.
મોટાભાગના ઉદ્યોગસાહસિકો જણાવે છે કે કોરોના રોગચાળાને કારણે તેઓએ નવી તકોની શોધમાં વ્યવસાય યોજના પર કામ કરવાનું શરૂ કર્યું છે. કિંગ્સ કોલેજ લંડનના તાજેતરના અહેવાલ મુજબ લાંબા ગાળે તેમના વ્યવસાય પર કોરોનાની સકારાત્મક અસર પડશે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સ્ટાર્ટઅપ કલ્ચર પણ વિકસી રહ્યું છે. આ ઇકોસિસ્ટમ વધુને વધુ મજબૂત બની રહી છે.
આ પણ વાંચો : Share Market : શું અમેરિકાની જેમ ભારતમાં પણ બ્રોકરેજ ફી નાબૂદ થશે? જાણો Zerodhaના Nithin Kamathનો જવાબ
આ પણ વાંચો : શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના તમને આર્થિક સહાય આપશે, જાણો યોજના અને અરજી કરવાની પ્રક્રિયા વિશે