નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે નાણા મંત્રાલયમાં બજેટ પહેલા પરંપરાગત ‘હલવા સેરેમની’ ઉજવી હતી. તેમાં નાણાં મંત્રાલયના ઘણા અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. નાણામંત્રીએ પોતે મંત્રાલયના અધિકારીઓને હલવો વહેંચ્યો હતો. આ ‘હલવા સેરેમની’ સાથે હવે બજેટની તૈયારીઓ સાથે જોડાયેલા અધિકારીઓને નાણા મંત્રાલયના પરિસરમાં જ ‘લોક’ કરી દેવામાં આવશે.
હલવા સેરેમની બજેટની અંતિમ તૈયારીઓની શરૂઆત માનવામાં આવે છે. તેથી બજેટના કામ સાથે સંકળાયેલા અધિકારીઓ કડક દેખરેખ હેઠળ રહે છે, જેથી કોઈ માહિતી લીક ન થાય. સાથે જ નાણામંત્રીએ પણ કડક નિયમોનું પાલન કરવું પડે છે.
હલવા સેરેમની પછી નાણા મંત્રાલયની નોર્થ બ્લોક ઓફિસ બંકરમાં પરિવર્તિત થઈ ગઈ છે. અહીં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને ન તો ફોન પર વાત કરવાની છૂટ છે, ન તો તેઓ ઘરે જઈ શકે છે અને ન તો તેમની પાસે મોબાઈલ ફોન હોય છે. એટલું જ નહીં, કોઈને પણ ઓફિસ પરિસરની બહાર જવાની પરવાનગી નથી.
Halwa ceremony marking lock-in of Budget documents held at North Block
Read @ANI Story | https://t.co/gBW8RgBh8b#HalwaCeremony #Budget2024 #NirmalaSitharaman #IndiaBudget pic.twitter.com/41zZHVlKN3
— ANI Digital (@ani_digital) July 16, 2024
બજેટની તૈયારીમાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓ સંસદમાં નાણામંત્રીનું બજેટ ભાષણ પૂરું ન થાય ત્યાં સુધી અહીં જ રહેશે. બજેટ રજૂ થયા બાદ જ તેઓ પોતાના ઘરે જઈ શકશે. ઈમરજન્સીના કિસ્સામાં જ તેમને ઘરે જવાની મંજૂરી આપી શકાય છે, પરંતુ તે માટે પણ ખૂબ કડક દેખરેખ રાખવામાં આવે છે. આ દરમિયાન અધિકારીઓ કે કર્મચારીઓને તેમના ઘરે વાત કરવી હોય તો તે હાઈ સિક્યોરિટી લેન્ડલાઈન દ્વારા જ થાય છે.
બજેટનું પ્રિન્ટીંગ નોર્થ બ્લોકમાં હલવા વિધિથી શરૂ થાય છે. આ સમારોહ બજેટની તૈયારીઓ સાથે સંકળાયેલ ‘અધિકારીઓ અને કર્મચારીઓને દુનિયાથી દૂર રાખવા’ની પ્રક્રિયાના ભાગરૂપે ઉજવવામાં આવે છે. આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સંસદમાં બજેટ રજૂ ન થાય ત્યાં સુધી નોર્થ બ્લોકના ભોંયરામાં જ રહે છે. એટલે કે હવે આ બધા લોકો 23 જુલાઈ પછી જ અહીંથી બહાર જઈ શકશે.