રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India – RBI)એ મંગળવારે કહ્યું કે બેંકોએ તેમના ગવર્નન્સ અને રિસ્ક મેનેજમેન્ટ (risk management)ના પગલાંને મજબૂત કરવાની જરૂર છે. જેથી કોરોના વાઈરસ મહામારીને (Corona epidemic) કારણે સર્જાયેલી અનિશ્ચિતતાનો સામનો કરી શકાય. કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ (digital payment) લેન્ડસ્કેપમાં ઝડપી તકનીકી પ્રગતિ અને નવી ફિનટેક કંપનીઓના ઉદભવ સાથે બેંકોએ તેમની સાયબર સુરક્ષાને મજબૂત કરવી પડશે અને ગ્રાહક સેવાઓમાં સુધારાને પ્રાથમિકતા આપવી પડશે.
આરબીઆઈએ નાણાકીય ક્ષેત્રમાં પડકારોનો સામનો કરવા માટે કાળજીપૂર્વક વ્યૂહરચના બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ અને ટેક્નોલોજીકલ ઈનોવેશનની સાથે કોવિડ મહામારીથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. અહેવાલમાં જણાવાયું છે કે અર્થતંત્ર અને નાણાકીય સ્થિરતા પર હવામાન પરિવર્તનની પ્રણાલીગત અસરનું મૂલ્યાંકન હજી વિકાસ હેઠળ છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો આનો સામનો કરવા માટે ક્યા પગલા ભરવાના છે તે અંગે હજુ સ્પષ્ટ નથી.
આરબીઆઈએ કહ્યું ટૂંકમાં ભારતનું નાણાકીય ક્ષેત્ર હજી સંપુર્ણપણે મજબૂત નથી. મહામારીની અસરો અલ્પજીવી હશે, પરંતુ આબોહવા પરિવર્તન અને ટેક્નિકલ નવીનતાઓના સૌથી મોટા પડકાર માટે કાળજીપૂર્વક રચાયેલ વ્યૂહરચનાની જરૂર પડશે.
આરબીઆઈએ તેના અહેવાલ ‘2020-21: ભારતમાં બેંકિંગનો ટ્રેન્ડ અને પ્રગતિ’માં જણાવ્યું હતું કે “બેંકોને ઝડપથી બદલાતા અને અનિશ્ચિત આર્થિક વાતાવરણમાં અનુકૂલન કરવા સક્ષમ બનાવવા માટે તેમના વ્યવસાયિક સંચાલન અથવા કોર્પોરેટ ગવર્નન્સ અને જોખમ સંચાલન વ્યૂહરચનાને મજબૂત બનાવવાની જરૂર પડશે.” રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં બેંકોના ચોપડામાં સુધારો એકંદર આર્થિક વૃદ્ધિની આસપાસ ટકી રહ્યો છે, જે મહામારીને દૂર કરવા પર નિર્ભર છે. આવી સ્થિતિમાં બેંકોએ તેમની મૂડીની સ્થિતિને વધુ મજબૂત કરવાની જરૂર પડશે.
સેન્ટ્રલ બેંકે તેના અહેવાલમાં જણાવ્યું છે કે નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ (NBFC) આવનારા સમયમાં તેજીમાં રહેવાની અપેક્ષા છે. NBFC સેક્ટરને અર્થતંત્રમાં રિકવરી અને રસીકરણની ઝડપી ગતિથી ટેકો મળવાની અપેક્ષા છે, RBIએ જણાવ્યું હતું કે નાણાકીય સિસ્ટમ હાઈબ્રિડ સિસ્ટમ તરફ આગળ વધી રહી છે જ્યાં નોન-બેંકિંગ મધ્યસ્થીઓને મહત્વ મળી રહ્યું છે. તેની પ્રગતિ આગામી વર્ષોમાં ચાલુ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો : રિટર્ન ફાઈલ કરવા માટે બાકી રહ્યા છે માત્ર 3 દિવસ, ટેક્સ વિભાગે અત્યાર સુધી જાહેર કર્યું લગભગ 1.5 લાખ કરોડનું રિફંડ