420 કરોડની કરચોરીના મામલે અનિલ અંબાણીને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી, જાણો શું છે સમગ્ર મામલો
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ઓગસ્ટમાં આવકવેરા વિભાગ દ્વારા કલમ 50 અને 51 હેઠળ અનિલ અંબાણીને આપવામાં આવેલી નોટિસ માન્ય નથી. કોર્ટે કહ્યું કે IT વિભાગનો કાયદો 2015માં આવ્યો હતો પરંતુ તેની કલમ હેઠળ 2006 થી 2012 સુધીના કેસમાં નોટિસ આપવામાં આવી છે.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી(Anil Ambani)ને બ્લેક મની લો કેસમાં મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા આ રાહત આપવામાં આવી છે. હાઈકોર્ટના નિર્દેશ મુજબ 17 નવેમ્બર સુધી બ્લેક મની એક્ટ હેઠળ અનિલ અંબાણી વિરુદ્ધ આવકવેરા વિભાગ કોઈ કાર્યવાહી નહીં કરે. અનિલ અંબાણીએ આ મામલામાં હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને કોર્ટમાં કહ્યું હતું કે તેમના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. અનિલ અંબાણીએ પોતાની સામેના આરોપોને પાયાવિહોણા ગણાવીને આઈટી વિભાગની નોટિસને કોર્ટમાં પડકારી હતી. આ પછી કોર્ટે કેસની સુનાવણી કરતા 17 નવેમ્બર સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.
8 ઓગસ્ટના રોજ IT વિભાગે અનિલ અંબાણીને બ્લેકમની (અનડિક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) અને ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015 હેઠળ પ્રોસિક્યુશન નોટિસ આપી હતી. નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અનિલ અંબાણીએ 2006થી 2012 વચ્ચે કરેલા ટ્રાન્ઝેક્શનમાં 420 કરોડ રૂપિયાની કરચોરી કરવામાં આવી છે. આ આરોપ સામે અનિલ અંબાણીએ IT વિભાગની નોટિસને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી.
કોર્ટનો નિર્દેશ
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ઓગસ્ટમાં આવકવેરા વિભાગ દ્વારા કલમ 50 અને 51 હેઠળ અનિલ અંબાણીને આપવામાં આવેલી નોટિસ માન્ય નથી. કોર્ટે કહ્યું કે IT વિભાગનો કાયદો 2015માં આવ્યો હતો પરંતુ તેની કલમ હેઠળ 2006 થી 2012 સુધીના કેસમાં નોટિસ આપવામાં આવી છે. કાયદો અમલમાં આવ્યો તે પહેલાના દિવસો માટે કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે નોટિસ અગાઉની તારીખે આપવામાં આવી છે તેથી તેને અમાન્ય ગણવામાં આવી છે.
સમગ્ર મામલો શું છે?
એક મીડિયા રિપોર્ટ મુજબ હાઈકોર્ટની બેંચને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આકારણી અધિકારીએ આ વર્ષે માર્ચમાં કાયદાની કલમ 10(3) હેઠળ એક આદેશ પસાર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે અંબાણીએ 2006 અને 2012માં કરેલા વ્યવહારોના આધારે જાહેર નહિ કરેલી વિદેશી આવક અને સંપત્તિ છે.આ માટે તે 420 કરોડ જમા કરાવે. બેન્ચને જણાવવામાં આવ્યું હતું કે અનિલ અંબાણી સામેની કાર્યવાહી પાયાવિહોણા અને ખોટા આરોપો પર આધારિત છે અને તેથી આ આદેશને આવકવેરા કમિશનર (અપીલ્સ) સમક્ષ પડકારવામાં આવ્યો છે.
આ રજુઆતને ધ્યાનમાં રાખીને કોર્ટે નિર્દેશ આપ્યો કે ઓગસ્ટમાં જારી કરવામાં આવેલી નોટિસ સમય પહેલા છે અને તેથી તેઓને IT વિભાગ દ્વારા કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહીથી રક્ષણ આપવું જોઈએ. કોર્ટને એ પણ કહેવામાં આવ્યું હતું કે નોટિસને રદ કરવા ઉપરાંત અરજીમાં 2015 એક્ટના વ્યક્તિગત વિભાગોની માન્યતાને પણ પડકારવામાં આવી હતી જે એક્ટની શરૂઆત પહેલા કરવામાં આવેલા વ્યવહારોને મંજૂરી આપે છે.