Adani AGM: અદાણી ગ્રુપના શેરના ભાવ તુટવા પાછળ ગૌતમ અદાણીએ કોને જવાબદાર ગણાવ્યા?
Adani Group AGM: ગૌતમ અદાણીએ કહ્યું કે અદાણી ગ્રૂપે વિશ્વભરના લિક્વિડ મેડિકલ ઓક્સિજન, ક્રિઓજેનિક ટેન્ક્સ અને ઓક્સિજન સિલિન્ડરો જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ પ્રાપ્ત કરી અને તેનો દેશમાં સપ્લાય કર્યો. પરંતુ ભારતીય વાયુસેનાની મહિલાઓ અને પુરુષોએ આપેલા મહાન યોગદાન સામે અમારું યોગદાન ઓછું રહ્યું છે.
Adani AGM: અદાણી ગ્રુપના ચેરમને ગૌતમ અદાણી (Gautam Adani) એ આજે વર્ચ્યુઅલ માધ્યમથી અદાણી ગ્રુપની વાર્ષિક સામાન્ય સભા (AGM) ને સંબોધી હતી. તેમણે આશા વ્યક્ત કરી છે કે 2022 માં તેઓ અદાણી ગ્રુપની AGMમાં સૌને રૂબરૂ મળી શકશે અને કેટલાક લોકો સાથે હાથ પણ મિલાવી શકશે. Adani Group AGM માં ગૌતમ અદાણીએ ભૂતકાળમાં કંપની વિશેના મીડિયા અહેવાલો પર મીડિયા હાઉસની પણ ઝાટકણી કાઢી હતી.આ સિવાય તેમણે કહ્યું હતું કે ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે, અને ત્યારબાદ આગામી બે દાયકામાં તે 15 ટ્રિલિયનથી વધુનું અર્થતંત્ર બનશે.
કોરોના મહામારી સામેની લડતમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા Adani Group AGM માં ગૌતમ અદાણી (Gautam Adani) એ કહ્યું કે જ્યારે વિશ્વના અન્ય રાષ્ટ્રો આ વૈશ્વિક રોગચાળા સામે લડવા માટે તેમના સંસાધનોની ગોઠવણ કરી રહ્યા હતા, ત્યારે મેં દેશમાં દેશની જ નિંદા કરનારા જોયા, જેમણે કહ્યું હતું કે ભારતમાં તેના નાગરિકોની રક્ષા અને ખાસ કરીને રસીકરણની બાબતે બહુ વધારે કામ કરવામાં નથી આવી રહ્યું. જયારે આપણા રસીકરણના પ્રયાસો 87 દેશોના સંયુક્ત પ્રયાસો કરતા વધારે છે. વિશ્વભરમાં અપાયેલા 320 કરોડ ડોઝમાંથી 35 કરોડ ડોઝ ભારતમાં આપવામાં આવ્યાં છે.
અદાણીનું માર્કેટ કેપિટલાઇઝેશન 100 અબજ ડોલર થયું Adani AGM માં ગૌતમ અદાણીએ કહ્યું કે મને ગર્વ છે કે કોરોના મહામારી અને પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ અમારી 6 લીસ્ટેડ કંપનીએ નફો કર્યો છે. અમારી આ 6 લીસ્ટેડ કંપનીઓના સારા પ્રદર્શનને કારણે અમારા પોર્ટલફોલિયોમાં આ નવા નાણાકીય વર્ષના પહેલા અઠવાડિયામાં 100 અબજ ડોલર માર્કેટ કેપિટલાઇઝેશન થયું છે. અદાણીના તમામ શેરોએ 100% થી વધુ વળતર આપ્યું છે અને અમારા બિઝનેસે અમારા ઇક્વિટી શેરધારકોને ખાતરી આપી છે કે અમે તેમને આશરે 9,500 કરોડ રૂપિયાનું વળતર આપીશું. વાર્ષિક ધોરણે ટેક્સ બાદ નફામાં 166% નો વધારો છે.
અદાણીના શેરોના ભાવ તૂટવાનું કારણ ગૌતમ અદાણીએ કહ્યું કે અમે અમારા ભાગીદારો, અમારા નાના રોકાણકારો અને પોતાને માટે સસ્ટેનેબલ વેલ્યુ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તાજેતરમાં કેટલાક મીડિયા હાઉસ નિયમનકારોની વહીવટી કાર્યવાહીથી સંબંધિત બેદરકારી ભરેલા અને બેજવાબદાર રીપોર્ટ કરવામાં સામેલ થયા છે. જેને પગલે અદાણીના શેરના બજાર ભાવમાં અણધાર્યા ઉતાર-ચઢાવ થયા હતા. દુર્ભાગ્યવશ અમારા કેટલાક નાના રોકાણકારોને આ વિકૃત રિપોર્ટિંગથી અસર થઈ, જેને કેટલાક ટીકાકારો અને પત્રકારોએ એવી રીતે સૂચવ્યું કે અમારી કંપની પાસે તેમના શેરહોલ્ડરો પર નિયમનકારી શક્તિ છે અને તે આવા રીપોર્ટને દબાવી શકે છે.