હીરાની ચમક પડી ઝાંખી, ડાયમંડ હબ ગણાતા સુરતમાંથી 20,000 કર્મચારીઓ થયા બેરોજગાર, જાણો કારણ
Diamond Export : FY22 ના એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ એક વર્ષ અગાઉના સમયગાળાની તુલનામાં 5.43% ઘટી હતી.
ગયા વર્ષના નવેમ્બર મહિનાથી ભારતમાં હીરાની નિકાસમાં ઘટાડો થવા લાગ્યો છે. જેનું કારણ હીરાની ઓછી ચમક હોવાનું કહેવાય છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ડેટા અનુસાર, FY22 ના એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં 5.43 % ઘટી છે. પશ્ચિમ અને ચીનમાં કટ અને પોલિશ્ડ હીરાની ઘટતી માંગને કારણે સુરતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20,000 કામદારોની છટણી થઈ છે, જ્યાં વિશ્વભરમાં વેચાતા હીરામાંથી 80 % પોલિશ્ડ થાય છે.
ભારતના હીરા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર સુરત, તેના 4,000 થી વધુ કટીંગ અને પોલિશિંગ એકમોમાં લગભગ 800,000 કામદારોને રોજગારી આપે છે. પરંતુ કામ ઘટવાથી, એકમોને 60-70 % ક્ષમતા પર કામ કરવાની ફરજ પડી, સુરત ડાયમંડ એસોસિએશન (SDA) ના સેક્રેટરી દામજી માવાણીએ જણાવ્યું કે તેમને ઓછા મજૂરોની જરૂર છે. કારણ કે નિકાસ ઘટવાને કારણે દેશમાં બહુ કામ નથી.
20 હજાર હીરા કામદારો નોકરીમાંથી બહાર
ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હીરાની નગરી સુરતમાં 2008ની મંદીનું પુનરાવર્તન આ વર્ષે પણ થશે કે કેમ તેવો ભય છે. ઓર્ડર ઓછા છે અને તેથી કામનું ભારણ ઓછું છે. આથી એકમો કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે. કેટલાક એકમો કામકાજના દિવસોમાં કાપ મૂકે છે જેથી તેઓને કામકાજ સિવાયના દિવસોમાં કામદારોને ચૂકવણી ન કરવી પડે. ટાંકના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનામાં સુરતમાં આશરે 20,000 હીરા કામદારોએ તેમની નોકરી ગુમાવી છે. કટ અને પોલિશ્ડ હીરા માટે અમેરિકા સૌથી મોટું બજાર છે, ત્યારબાદ ચીન આવે છે.
અન્ય ક્ષેત્રોમાં કામ મળશે
એસડીએના માવાણીએ કહ્યું કે જે કામદારોએ તેમની નોકરી ગુમાવી છે તેમને અન્ય ક્ષેત્રોમાં કામ મળશે. મોટાભાગની ફેક્ટરીઓમાં 30 ટકા જગ્યા ખાલી છે. જોકે અમેરિકા, યુરોપ અને ચીનમાં મંદીના ભયને કારણે સુરતમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. એસડીએ સેક્રેટરીએ કહ્યું કે તેમને ખબર નથી કે પરિસ્થિતિ ક્યારે સુધરશે. વિદેશી બજારોમાંથી માંગમાં જોરદાર વધારો થવામાં એક વર્ષ લાગી શકે છે.
વેપારીઓનો નફો ઘટી રહ્યો છે
જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે ચીનમાં રોગચાળો પાછો ફર્યો છે અને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાંથી રાહતના કોઈ સંકેતો નથી, વિશ્વના કેટલાક ભાગોમાં મોંઘવારી વધી રહી છે, શાહે વધુમાં જણાવ્યું હતું કે પોલિશ્ડ હીરાના ભાવમાં ઘટાડો થવાને કારણે વેપારીઓનો નફો ઘટી રહ્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે રશિયા યુક્રેન યુધ્ધ અને ચીનની કોરોના મહામારી પણ ઘણા ઘરા અંગે આ સુસ્તીનું કારણ છે, આર્થિક અનિશ્ચિતતા અને મંદીના કારણે પોલિશ્ડ હીરાનો કારોબાર પણ સુસ્ત છે.