શનિદેવને શા માટે કાળા રંગની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે ? જાણો કેમ તેમને કાળો રંગ પ્રિય છે !
શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન કાળા તલ, કાળી દાળ અને કાળા કપડા જેવી કાળી વસ્તુઓ તેમને અર્પણ કરવામાં આવે છે. આમ કેમ કરવામાં આવે છે, અહીં જાણો તેનાથી સંબંધિત પૌરણિક કથા.
તમે જોયું હશે કે દરેક મંદિરમાં શનિદેવની મૂર્તિ હંમેશા કાળી હોય છે. આ સિવાય ભક્તો તેને કાળા તલ, કાળી દાળ, કાળા કપડા, લોખંડ વગેરેનું દાન કરે છે. આ સ્થિતિમાં તમારા મનમાં આ સવાલ આવવો જ જોઈએ કે આવું કેમ કરવામાં આવે છે. શનિદેવનો કાળા રંગ સાથે શું સંબંધ છે અને તેમને કાળી વસ્તુઓ કેમ આટલી પ્રિય છે ? શનિદેવના પ્રિય કાળા રંગ વિશે એક પૌરાણિક કથા છે, જે તેમના જન્મ સાથે સંકળાયેલી છે.
કથા અનુસાર, ભગવાન સૂર્યના લગ્ન દક્ષ પ્રજાપતિની પુત્રી સંધ્યા સાથે થયા હતા. સંધ્યાથી જ સૂર્યદેવને મનુ, યમરાજ અને યમુના નામના બાળકો પ્રાપ્ત થયા હતા. કહેવાય છે કે સૂર્ય એટલા તેજસ્વી હતા કે તેનો તાપ સહન કરવો સંધ્યા માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેથી સંધ્યાએ પોતાની એક પ્રતિરૂપ છાયાને બનાવી અને પોતે સૂર્ય લોકથી તેના ઘરે જવા રવાના થયા. સંધ્યાની છાયા જોઈને સૂર્યદેવે તેને સંધ્યા સમજી લીધી.
થોડા સમય બાદ છાયા ગર્ભવતી થઈ. ગર્ભધારણના સમયથી જ છાયા ભગવાન શિવની કઠોર તપસ્યા કરતી હતી. આ કારણે, તે ગર્ભાવસ્થા દરમિયાન પોતાની સંભાળ યોગ્ય રીતે રાખી શકતી ન હતી. સમય જતા છાયાએ એક પુત્રને જન્મ આપ્યો જેનો રંગ ખૂબ જ કાળો હતો. કાળા પુત્રને જોઈને સૂર્યદેવે તેને પોતાના બાળક તરીકે સ્વીકારવાની ના પાડી. આ સાંભળીને શનિદેવ ખૂબ દુ:ખી થયા અને ક્રોધિત પણ થયા.
છાયાએ ગર્ભાવસ્થા દરમિયાન મહાદેવનું તપ કર્યું હોવાથી શનિદેવને માતાના ગર્ભમાં ભગવાન શિવની શક્તિ મળી. આથી જ્યારે તેમણે સૂર્ય ભગવાનને ગુસ્સાથી જોયા, ત્યારે સૂર્ય ભગવાનનો રંગ પણ કાળો થઈ ગયો અને તે કુષ્ઠ રોગી બન્યા. ત્યારબાદ સૂર્યદેવે ભગવાન શિવની માફી માંગી અને પોતાની ભૂલ સ્વીકારી લીધી. આ પછી તેમણે શનિદેવને તમામ ગ્રહોમાં શક્તિશાળી બનવાના આશીર્વાદ આપ્યા.
સૂર્યદેવે શનિદેવને તેના કાળા રંગને કારણે નકાર્યા હતા, તેથી શનિદેવે આ ઉપેક્ષિત રંગને જ પોતાનો પ્રિય બનાવ્યો. એટલા માટે શનિદેવને કાળી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે અને શનિવારે કાળી વસ્તુઓનું દાન કરવામાં આવે છે. એટલું જ નહીં, જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો તો પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા પર તેમની કૃપા રહે છે.
આ પણ વાંચો : Ganesh Chaturthi 2021 : રાજા જનકના કયા અહંકારને તોડવા ગણેશજીએ લીધો બ્રાહ્મણનો વેશ ? જાણો રસપ્રદ કથા
આ પણ વાંચો : Astrology: સૂર્યનું કન્યા રાશિમાં પરિવહન ! કોને મળશે લાભ અને કોણે રાખવું પડશે વિશેષ ધ્યાન ?