કઈ દિશાનો વાસ્તુદોષ તમારા ઘરમાં વારંવાર લાવે છે બીમારી ? જાણો, રોગમુક્તિની સરળ વિધિ
કેટલાંક પરિવારોમાં એવું બનતું હોય છે કે કોઈને કોઈ સતત બીમાર રહેતું જ હોય છે. એક વ્યક્તિ સાજો થાય અને બીજો બીમાર પડે. બીજો સાજો થાય, ત્યાં વળી ત્રીજાને કોઈ રોગ સતાવા લાગે. આ માટે ઘરનો વાસ્તુદોષ (vastu dosh) પણ કારણભૂત હોઈ શકે છે !
જો તમારું જીવન અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલું હોય, તો તેનું સૌથી મોટું કારણ ઘરનો વાસ્તુદોષ પણ હોઈ શકે છે ! આમ તો વ્યક્તિની કુંડળીના ગ્રહ તેના જીવન પર સૌથી મોટી અસર કરે છે. પણ, ઘણીવાર એવું બને છે, કે કુંડળીમાં શુભયોગ ચાલી રહ્યા હોય, છતાં વ્યક્તિ એક પછી એક મુસીબતોથી ઘેરાતો રહે છે. ઘરના સભ્યો સતત બીમાર જ પડતા રહેતાં હોય છે ! આનું સૌથી મોટું કારણ ઘરનો વાસ્તુદોષ પણ હોઈ શકે છે ! ત્યારે આવો, આજે તે જ વિશે વિગતે જાણીએ.
વાસ્તુદોષ અને બીમારી !
કેટલાંક પરિવારોમાં એવું બનતું હોય છે કે કોઈને કોઈ સતત બીમાર રહેતું જ હોય છે. એક વ્યક્તિ સાજો થાય અને બીજો બીમાર પડે. બીજો સાજો થાય, ત્યાં વળી ત્રીજાને કોઈ રોગ સતાવા લાગે. એમાં પણ જો ઘરની મુખ્ય વ્યક્તિ એટલે કે જેની આવક પર ઘર ચાલતું હોય તે જો સતત બીમાર રહેતી હોય તો તેનું કારણ હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ !
નૈઋત્ય ખૂણાનો દોષ !
પરિવારમાં સતત સતાવતી રોગની સમસ્યા માટે ઘરનો નૈઋત્ય ખૂણો, એટલે કે દક્ષિણ-પશ્ચિમ ભાગ મહત્વનો બની રહે છે. જો ઘરનો આ ખૂણો નીચો હોય, એટલે કે પાણીનો ઢોળાવ આ દિશામાં હોય તો ત્યાં વસનારા લોકો સતત બીમારીનો ભોગ બનતા જ રહે છે ! ત્યારે તે દૃષ્ટિએ આ દિશામાં ખૂબ જ ઝડપથી વાસ્તુદોષ નિવારણનું કામ કરવું હિતાવહ બની રહે છે.
રોગમુક્તિ અર્થે વાસ્તુદોષ નિવારણ
⦁ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં કોઇ ખાડો હોય અથવા તો કૂવો, બોરિંગ કે પાણીની ટાંકી હોય તો તેને બંધ કરાવી દો.
⦁ દક્ષિણ-પશ્ચિમ દિશામાં રસોઇઘર હોય, એટલે કે ઘરનું રસોડું હોય તો તેને બીજી દિશામાં સ્થાપિત કરી દો.
⦁ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લાગેલી ટાઈલ્સ પણ ઘરના સભ્યની તબિયત પર અસર કરી શકે છે ! જો આ દિશા તરફના રૂમમાં સફેદ રંગની કે ચીકણી ટાઇલ્સ લગાવેલી હોય તો તુરંત જ તેને બદલાવી દો. શક્ય હોય તો વુડન ટાઈલ્સ લગાવડાવી દો. અથવા લાકડા રંગની ટાઈલ્સ લગાવડાવો.
⦁ મંગળવારે દક્ષિણ-પશ્ચિમ દિશાની છત પર એક ‘મહાવીરી ઝંડો’ એટલે કે, હનુમાનજીના ચિત્ર સાથેનો ધ્વજ શુભ મૂહુર્તમાં લગાવો. ધ્યાન રાખો, કે મહાવીરી ઝંડો નૈઋત્ય ખૂણામાં જ લગાવવો જોઈએ. આ ઉપાય આપના માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)