બધાં જ લોકો તેમના ઘરને સુંદર રીતે સજાવતા હોય છે. પણ, ઘણીવાર કેટલીક જરૂરી બાબતો પ્રત્યે બેધ્યાન બની જતા હોય છે. જેને લીધે તેમને વાસ્તુદોષનો ભોગ બનવું પડતું હોય છે. ઘણાં લોકો ખૂબ સારું કમાતા હોય, ઘરનું ઘર હોય, છતાં જીવનમાં સતત અશાંતિ વર્તાતી રહેતી હોય છે, કે સતત નાણાંની ખોટ રહેતી હોય છે. આ માટે ઘરનો વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે છે. ક્યાંક તમારા ઘરમાં પણ આવી કોઈ સમસ્યા તો નથી ને ! આવો, આજે એ જાણીએ કે ઘર સંબંધી કઈ ભૂલો વ્યક્તિને ભારે પડતી હોય છે અને તે વાસ્તુદોષનું કારણ બનતી હોય છે.
ઘરમાં રહેલ ઘર મંદિર કે પૂજાઘરનો ઉપયોગ માત્ર દેવી-દેવતાની પૂજા માટે જ કરવો જોઇએ. પૂજારૂમ કે ઘર મંદિરને સ્ટોર રૂમના રૂપમાં કે બીજા કોઇપણ પ્રકારના વપરાશમાં ન લેવો. પૂજારૂમમાં સૂર્યાસ્ત પછીના સમયે ચમકદાર લાઇટ કે દીવો અવશ્ય પ્રજવલિત રાખવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજારૂમમાં ક્યારેય અંધકાર ન રહેવો જોઇએ.
રસોડામાં જમવાનું બનાવતા સમયે જમવાનું બનાવનારનું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. આ વસ્તુ ઘર પરિવારના લોકો માટે ખૂબ જ સારી વાત છે. આ રીતના રસોડામાં જમવાનું બનાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે.
કાળા અને લાલ રંગ જેવા ઘાટા કલર ડ્રોઇંગરૂમ કે મહેમાનોને બેસવાના રૂમમાં ન રાખવા જોઇએ. આ રંગ નકારાત્મક ઊર્જાને ફેલાવે છે. તેનાથી વાતાવરણ નકારાત્મક ઊર્જાવાળું રહે છે. ડ્રોઇંગરૂમની દક્ષિણ-પૂર્વ દિશા ટીવી રાખવા માટે ઉત્તમ છે. દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રહેલ ટીવી આપને ખૂબ પરેશાની આપશે અને વારંવાર તેના તૂટવાની કે રીપેરીંગની સંભાવનાઓ વધી જશે.
આપના બેડરૂમમાં અરીસો ક્યારેય ન રાખવો જોઇએ. અને સૂવાના પલંગ કે પથારી ક્યારેય એકબીજાની સામસામા ન હોવા જોઈએ. આ વસ્તુ આપના જીવનમાં દુર્ભાગ્ય લાવે છે. જો એક રૂમમાં બે પલંગ હોય તો તે જોડાયેલા રાખવા જોઈએ.
હવા શુદ્ધ કરનાર ફૂલ-છોડ જેમ કે મની પ્લાન્ટ, બામ્બુ, ઝેડ પ્લાન્ટ, રબર પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ મોટાભાગે લોકો ઘરમાં સજાવટના રૂપમાં લગાવતા હોય છે. વાસ્તવમાં આ પ્રકારના છોડ આપના ઘરની હવાને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઊર્જા પ્રસરાવે છે. એટલે તેને ઘરમાં રાખવા ખૂબ જ શુભ મનાય છે.
એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે આપના ઘરમાં રહેલી આપની પથારી કે સૂવાની જગ્યાની પાછળ કોઇ બારી ન હોવી જોઇએ ! આપના બેડરૂમ કે શયનકક્ષની બારીઓ પૂર્વ કે ઉત્તરની દિવાલ પર જ હોવી જોઇએ.
આપના ઘરમાં રહેલ ફર્નીચર ચોરસ કે લંબચોરસ આકારમાં જ હોવું જોઇએ. વિષમ આકાર કે ગોળ, લંબગોળ આકારનું ફર્નીચર વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોની સાથે મેળ નથી ખાતા. એટલે આવું ફર્નીચર આપના ઘરમાં વાસ્તુદોષ લાવી શકે છે.
ઘરમાં રહેલ શૌયાલય અને બાથરૂમ એ ઘરની એવી જગ્યા છે જ્યાં આપણે આપણાં શરીરના કચરાનો નિકાલ કરીએ છીએ. એટલા માટે હંમેશા પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં શૌચાલય બનાવવું જોઇએ. ઘરમાં બીજી કોઇપણ દિશામાં જો શૌચાલય કે બાથરૂમ હશે તો તે ઘરમાં વાસ્તુદોષ રહેશે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)