પ્રગતિ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવશે રવિવારની સૂર્ય પૂજા ! જાણો સૌથી ફળદાયી વિધિ
રવિવારની સૂર્ય ઉપાસના સવિશેષ લાભદાયી મનાય છે. માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને આંખ અને ચામડીના રોગમાંથી મુક્તિ મળે છે. રવિવારની સૂર્ય ઉપાસના સાધકને પ્રગતિ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે છે !
આજે આપણે વાત કરવી છે એ દેવતાની (God) કે જેમણે સમગ્ર સૃષ્ટિને ઊર્જા અને પ્રકાશ પ્રદાન કર્યા છે અને તે છે સૂર્યદેવ (lord surya). જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ઉચ્ચના સ્થાન પર હોય તો તે વ્યક્તિ પોતાના જીવનમાં યશસ્વી અને તેજસ્વી બને છે. આવું શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં સૂર્યને સાક્ષાત દેવ એટલે કે પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે. રાજકીય સેવા જેવા ક્ષેત્રોમાં કે રોજગારી મળવા પાછળ પણ સૂર્યદેવની ભૂમિકા જ જવાબદાર હોય છે.
સૂર્યદેવ એ સમગ્ર જીવસૃષ્ટિની શક્તિ છે. વાસ્તવમાં તો તે જ સૃષ્ટિની આત્મા છે. સૂર્યદેવની કૃપાથી જ જીવ માત્રનું કલ્યાણ થાય છે. કારણ કે સૂર્યદેવથી જ પૃથ્વી પર જીવન શક્ય છે. આજે રવિવાર છે. એટલે કે સૂર્યદેવને પ્રસન્ન કરવાનો વાર. તો ચાલો જાણીએ કે આજે કયા પ્રકારની પૂજા કરવાથી સૂર્યદેવની પ્રસન્નતા મેળવી શકાય.
સૂર્યને માનવ શરીરમાં આત્માનો કારક માનવામાં આવે છે. સૂર્યદેવ નક્ષત્ર અને તારાઓની મધ્યમાં બિરાજમાન થઇને ત્રણેય લોકને પ્રકાશિત કરે છે. પરંતુ જો આપની કુંડળીમાં સૂર્યનું સ્થાન નીચનું બને કે સૂર્ય અશુભ સ્થાન પર બિરાજમાન થઇ જાય તો આપના જીવનમાં અંધકાર છવાઇ જશે. આ દરમ્યાન આપ જો સૂર્યદેવ સંબંધિત કેટલાક ઉપાયો કરશો તો આપને ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે અને જીવનમાં ખુશીઓનો પ્રકાશ પણ પ્રસરી જશે. તો આજે એવાં જ ઉપાયો વિશે વાત કરવી છે કે જે કરવા માત્રથી આપના જીવનનો અંધકાર દૂર થઇ જશે.
ફળદાયી રવિવારની પૂજા
- માન્યતા અનુસાર સૂર્યદેવનું રવિવારનું વ્રત કરવાથી નોકરીમાં ઉચ્ચપદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.
- રવિવારનું વ્રત કરવાથી આંખ અને ચામડીના રોગમાંથી મુક્તિ મળે છે.
- સૂર્યદેવની ઉપાસના કરવાથી તેજોમય જીવનનું વરદાન પ્રાપ્ત થાય છે.
- જે વ્યક્તિને જીવનમાં સૂર્યદેવની કૃપા મળી જાય છે તેના જીવનમાં ખુશીઓ સદૈવને માટે સ્થિર થઈ જાય છે.
શું ખાસ કરવું ?
- રવિવારે તાંબાના લોટામાં જળ ભરીને તેમાં ફૂલ ઉમેરીને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ. આ ઉપાય સ્વાસ્થ્ય અને નોકરી-ધંધાને સુધારવામાં મદદરૂપ બને છે.
- રવિવારના દિવસે તાંબાના વાસણ કે ઘીનું દાન કરવું જોઇએ.
- આ દિવસે આદિત્યહૃદય સ્તોત્રનું પઠન કરવું પણ લાભદાયી બની રહે છે.
- રવિવારે નેત્રોપનિષદનો પાઠ કરવાથી આંખોનું તેજ વધે છે.
વિશેષ પ્રયોગ
- રવિવારે રાત્રે સૂતી વખતે માથાની પાસે એક ગ્લાસ દૂધનો રાખવો પછી સોમવારે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન કરી આ દૂધને બાવળમાં અર્પિત કરી દો. આ કાર્ય 7 કે 11 રવિવાર સુધી કરવાથી ધન-ધાન્યમાં વૃધ્ધિ થવાની માન્યતા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : સનાતન પરંપરામાં શિવલિંગની પૂજાનું શું છે મહત્વ, જાણો તેને લગતા સરળ ઉપાય
આ પણ વાંચો : વાસ્તુના આ સાત નિયમોને અવગણવાથી પાણીની જેમ વહી જાય છે પૈસા