રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બીએપીએસના ભૂતપૂર્વ વડા પ્રમુખસ્વામી મહારાજના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવેલું અક્ષરધામ મંદિર ગુજરાતની શાન ગણાય છે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અહીં દર્શન તેમજ પ્રદર્શન નિહાળ્યા વિના જતા નથી, તે વી જરીતે દેશના પાટનગર દિલ્લી ખાતેનું અક્ષરધામ પણ સ્થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહણ છે. ત્યારે જ નજીકના દિવસોમાં અમદાવાદમાં જ પણ આવા જ ભવ્ય અને દિવ્ય અક્ષધામના દર્શન થઈ શકશે. આ અક્ષરધામનું કામ હાલમાં પૂર્ણતાના આરે છે. આ અક્ષરધામ અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ઓગણજ સર્કલ પાસે તૈયાર થઈ રહ્યું છે. BAPSના પાંચમા આધ્યાત્મિક વારસદાર પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અહીં ઉજવાશે. આ મહોત્સવના વિવિધ આધ્યાત્મિક દર્શનાત્મક આકર્ષણો પૈકી એક અક્ષરધામ છે જે સ્વામિનારાણ નગરની મધ્યમાં જ તૈયાર કરવામાં આવ્યુ છે. તાજેતરમાં દિવાળીના ઉત્સવ દરમિયાન હજારો હરિભક્તોએ નિર્માણાધીન અક્ષરધામની નિશ્રામાં નિત્યપૂજા કરી હતી તેમજ નવા વર્ષના દિવસે અહીં અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.
BAPSના હાલના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી દિવસ-રાત હજારો સ્વયંસેવકો સ્વામિનારાયણ નગરમાં સેવા કરી રહ્યા છે. સંતો અને સ્વયંસેવકોની અથાગ મહેનતથી આ અક્ષરધામ નિર્માણ પામી રહ્યું છે. દિવાળી વેકેશનમાં સ્વામિનારાયણ નગરમાં હજારો સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે. ત્યારે મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સમયસર તેનું ઉદઘાટન થઈ શકે અને લાખો ભાવિકો અહીં દર્શન કરી શકે.
સ્વામિનારાયણ નગરમાં તૈયાર થઈ રહેલું આ અક્ષરધામ મંદિર દિલ્લીમાં આવેલા BAPS સ્વામિનારાયણ અક્ષરધામની પ્રતિકૃતિ સમાન હશે. ભવ્ય કલાકૃતિ અને ભારતીય શિલ્પકળાની બેનમૂન છાપ ધરાવતું આ મંદિર અહીં આવનારા દર્શનાર્થીઓમાં હિન્દુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ વધુ દ્રઢ કરશે. અક્ષરધામ મંદિરના મધ્યમાં બીએપીએસના અનુયાયીઓના આરાધ્ય ભગવાન અક્ષર પુરૂષોત્તમ મહારાજની ભવ્ય અને દિવ્ય મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. અક્ષર પુરૂષોત્તમ મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ અને તેમના પરમ ભક્ત મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. અક્ષર અને પુરૂષોત્તમની ઉપાસનાનું મૂર્તિમાન સ્વરૂપ એટલે અક્ષર પુરૂષોત્તમ મહારાજ, અક્ષરધામ મંદિરની મધ્યમાં દર્શન આપશે. ઉપરાંત આ મંદિરમાં ભગવાન રાધા કૃષ્ણ, સીતા અને રામ, શિવ પાર્વતી, લક્ષ્મીનારાયણ સહિત દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ પધરાવવામાં આવશે. આ ઉપરાંત BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરૂ પરંપરાની મૂર્તિઓના પણ અહીં દર્શન થઈ શકશે. દેશ-વિદેશથી આવનારા ભક્તો અહીં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવશે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી 15 ડિસેમ્બરથી શરૂ થશે. 15 ડિસેમ્બરે સ્વામિનારાયણ નગરનું ઉદઘાટન થશે અને આજ દિવસથી દર્શનાર્થીઓ અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ નગરના દર્શન કરી શકશે. 15 જાન્યુઆરી સુધી આ મંદિરમાં ગુજરાતના ખૂણેખૂણેથી ભક્તો ઉમટશે. આ મંદિર ફક્ત એક મહિના માટે જ દર્શનાર્થે ખુલ્લું મુકાશે. જે પ્રકારે વિશ્વ વિખ્યાત દિલ્લી અક્ષરધામ અને ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે દર મહિને લાખો લોકો આવે છે તે રીતે અહીં તૈયાર થનારા અક્ષરધામ મંદિરની મુલાકાતે પણ એક મહિના દરમ્યાન લાખો દર્શનાર્થીઓ આવશે.
Published On - 8:22 am, Sun, 30 October 22