Jalyatra 2023: અમદાવાદમાં આજે 146મી જળયાત્રા, જાણો જ્યેષ્ઠાભિષેક પૂર્વેની આ યાત્રાનું શું છે મહત્વ

|

Jun 05, 2023 | 3:29 PM

આજે વિવિધ મંદિરોમાં પ્રભુનો મહાભિષેક (Mahabhishek) કરવામાં આવશે. જગન્નાથ પુરીમાં આ પૂનમ સ્નાન પૂર્ણિમાના નામે ઓળખાય છે. અને સ્નાન યાત્રાના નામે આ મહાપર્વની ઉજવણી થાય છે. તો, અમદાવાદના જગદીશ મંદિરમાં પણ જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુ માટે મહાભિષેકનું આયોજન થાય છે.

Jalyatra 2023: અમદાવાદમાં આજે 146મી જળયાત્રા, જાણો જ્યેષ્ઠાભિષેક પૂર્વેની આ યાત્રાનું શું છે મહત્વ

Follow us on

જેઠ સુદ પૂનમના અવસરે કૃષ્ણ મંદિરોમાં અને તેમના વિવિધ સ્વરૂપોના મંદિરોમાં મહા અભિષેકનું આયોજન થાય છે. જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં યોજાતો આ મહા અભિષેક જ્યેષ્ઠાભિષેકના નામે ખ્યાત છે. અમદાવાદના જગદીશ મંદિરમાં પણ આ દિવસે જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો અભિષેક કરવામાં આવે છે. પણ, અહીં તો આ અભિષેક જેટલું જ મહત્વ ધરાવે છે જળયાત્રા. આવો, જાણીએ આ જળયાત્રાનું શું મહત્વ છે ?

જ્યેષ્ઠાભિષેક મહિમા

જેઠ સુદ પૂનમની ઉદયતિથિ 4 જૂન, રવિવારના રોજ પડી રહી છે. જે અંતર્ગત આજે વિવિધ મંદિરોમાં પ્રભુનો મહાભિષેક કરવામાં આવશે. જગન્નાથ પુરીમાં આ પૂનમ સ્નાન પૂર્ણિમાના નામે ઓળખાય છે. અને સ્નાન યાત્રાના નામે આ મહાપર્વની ઉજવણી થાય છે. તો, અમદાવાદના જગદીશ મંદિરમાં પણ જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુ માટે મહાભિષેકનું આયોજન થાય છે.

મહાભિષેક પૂર્વે જળયાત્રાનું આયોજન

અમદાવાદના જગદીશ મંદિરની પ્રથા થોડી અલગ છે. આ મંદિરમાં પ્રભુના મહાભિષેક પૂર્વે ભવ્ય જળયાત્રાનું આયોજન થાય છે. મોટાભાગના મંદિરોમાં સ્નાન યાત્રાના આગલા દિવસે જ તીર્થસ્થાનોથી જળ મંદિરમાં લાવી દેવાય છે. પરંતુ, જગદીશ મંદિરમાં પ્રભુનો નિત્ય કર્મ પૂર્ણ થયા બાદ જ જળયાત્રાનો પ્રારંભ થાય છે. 108 કળશ, ગજરાજ અને ભજન મંડળીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળે છે. તે સાબરમતીના કાંઠે સોમનાથ ભૂદરના આરે પહોંચે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સોમનાથ ભૂદરે ગંગા પૂજન

પુરાણોમાં સાબરમતી નદીનો કળિયુગી ગંગા તેમજ કશ્યપી ગંગાના નામે ઉલ્લેખ મળે છે. ત્યારે સોમનાથ ભૂદરે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ ગંગા રૂપ સાબરમતીના નીરથી 108 કળશને ભરવામાં આવે છે. અને પછી શોભાયાત્રા એટલે કે જળયાત્રા મંદિર તરફ પ્રસ્થાન કરે છે.

જ્યેષ્ઠાભિષેકની વિધિ

108 કળશને નીજ ધામ લવાયા બાદ તેને પ્રભુની સન્મુખ મુકવામાં આવે છે. અને ત્યારબાદ જગન્નાથજીની જ્યેષ્ઠાભિષેકની વિધિનો પ્રારંભ થાય છે. જેમાં શંખની મદદથી પ્રભુ પર અભિષેક કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર પૂર્ણાહુતિ તરફ વધી રહેલી ગ્રીષ્મ ઋતુના સમયમાં પ્રભુને ઠંડક મળે તે માટે આ અભિષેક થતો હોય છે. આ અભિષેકમાં સર્વ પ્રથમ તો પ્રભુને 108 કળશમાં લવાયેલા શુદ્ધ જળથી શુદ્ધોદક સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને ગુલાબજળ, ગંગાજળ અને કેસરથી સ્નાન કરાવાય છે. આ સ્નાન બાદ પંચામૃતથી સ્નાન કરાવવાનું માહાત્મ્ય છે. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનો સમાવેશ થાય છે. પંચામૃત સ્નાન બાદ પ્રભુને ચંદન સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને અત્તર મિશ્રીત જળથી પણ સ્નાન કરાવાય છે. આ તમામ સ્નાન પૂર્ણ થયા બાદ પ્રભુને પુન: શુદ્ધોદક સ્નાન કરાવવામાં આવે છે. સ્નાનવિધિ બાદ પ્રભુ પર દૂર્વા, તુલસી અને પુષ્પનો અભિષેક કરવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Published On - 6:16 am, Sun, 4 June 23

Next Article