AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kedarnath Jyotirlinga : સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત જ્યોતિર્લિંગ એટલે કેદારનાથ જ્યોતિર્લિંગ ! જાણો શા માટે પ્રભુનું સ્વરૂપ છે અનોખું ?

ઉત્તરાખંડના કેદારક્ષેત્રમાં ‘પંચકેદાર' બિરાજમાન છે. જેમાં કેદારનાથ જ્યોતિર્લિંગ (Kedarnath Jyotirlinga), મધ્યમહેશ્વર, તુંગનાથ, રુદ્રનાથ અને કલ્પેશ્વરનો સમાવેશ થાય છે. કહે છે કે આ પાંચેયના દર્શન બાદ જ કેદારનાથની યાત્રા સંપૂર્ણ બને છે.

Kedarnath Jyotirlinga : સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત જ્યોતિર્લિંગ એટલે કેદારનાથ જ્યોતિર્લિંગ ! જાણો શા માટે પ્રભુનું સ્વરૂપ છે અનોખું ?
kedarnath temple
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 08, 2022 | 6:46 AM
Share

ભારતની ભૂમિ એ તો દ્વાદશ જ્યોતિર્લિંગના (12 jyotirlinga) દર્શનની ભૂમિ છે. પરંતુ, આ દ્વાદશ જ્યોતિર્લિંગમાં કેદારનાથ જ્યોતિર્લિંગ (kedarnath jyotirlinga) સૌથી અનોખું છે. અનોખું એટલાં માટે, કારણ કે તે ભારતમાં સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત જ્યોતિર્લિંગ છે. સમુદ્રની સપાટીથી લગભગ 3583 મીટરની ઊંચાઈ પર દેવાધિદેવ મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે વિદ્યમાન થયા છે. અને સૌથી મહત્વની વાત એ કે ભગવાન શિવ (lord shiva) અહીં શિવલિંગ સ્વરૂપે નહીં, પરંતુ, એક શિલા સ્વરૂપે બિરાજમાન થયા છે ! ત્યારે આવો, આજે શ્રાવણીયા સોમવારના (shravan somvar) રૂડા અવસર પર કેદારનાથ જ્યોતિર્લિંગની મહત્તાને જાણીએ.

દ્વાદશ જ્યોતિર્લિંગમાં કેદારનાથ એ અગિયારમું સ્થાન ધરાવે છે. ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં પાવની મંદાકિની નદીના કિનારે આવેલું આ સ્થાનક એ નાના ચાર ધામમાંથી પણ એક છે. પ્રસિદ્ધ તીર્થધામ હરિદ્વારથી લગભગ 251 કિ.મી. અંતર કાપીને આપ કેદારનાથના સાનિધ્યે પહોંચી શકો છો. આમ તો ઉત્તરાખંડના કેદારક્ષેત્રમાં ‘પંચકેદાર’ બિરાજમાન છે. જેમાં કેદારનાથ, મધ્યમહેશ્વર, તુંગનાથ, રુદ્રનાથ અને કલ્પેશ્વરનો સમાવેશ થાય છે. કહે છે કે આ પાંચેયના દર્શન બાદ કેદારનાથની યાત્રા સંપૂર્ણ બને છે. અલબત્ આ પાંચમાં મુખ્ય સ્થાન તો ધરાવે છે કેદારનાથ જ્યોતિર્લિંગ !

મંદિર માહાત્મ્ય

કેદારનાથ મંદિર એ કત્યૂરી સ્થાપત્ય શૈલીથી નિર્મિત છે. વિશાળ શિલાઓને જોડીને તેને બાંધવામાં આવ્યું છે. અને તે ભારતની પ્રાચીન વાસ્તુકલાની સમૃદ્ધતાની સાક્ષી પૂરે છે. મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ પ્રવેશદ્વાર, બીજું સભા મંડપ અને ત્રીજું ગર્ભગૃહ. સભા મંડપની ચારે બાજુ પાંડવોની પાષાણની પ્રતિમાઓ શોભાયમાન છે. જ્યારે મંદિરના ગર્ભગૃહમાં દેવાધિદેવનું અત્યંત ભવ્ય રૂપ સ્થાપિત થયું છે. કેદારેશ્વર મહાદેવનું આ રૂપ કોઈ શિવલિંગ કરતા શિલા જેવું વધારે ભાસે છે ! અને તેની ભવ્યતા અને દિવ્યતા જ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ખેંચી લાવે છે. ઉલ્લેખનીય છે કે વર્ષમાં માત્ર 6 માસ માટે જ કેદારધામના કપાટ ખૂલે છે. કડકડતી ઠંડીમાં આ સ્થાનક પૂરાં 6 માસ માટે બંધ રહે છે. આ સમય દરમિયાન રુદ્રપ્રયાગના જ ઊખીમઠ નામના સ્થળે મહેશ્વરની ચલિત પ્રતિમાની પૂજા-અર્ચના થાય છે.

કેદારનાથ પ્રાગટ્ય

શિવપુરાણની કોટિરુદ્રસંહિતામાં ઉલ્લેખ છે તે અનુસાર આ સ્થાન શ્રીવિષ્ણુના અવતાર નર અને નારયણની તપોભૂમિ રહ્યું છે. નર-નારાયણે ગંધ-માદનના નામે પ્રસિદ્ધ આ ક્ષેત્રમાં વર્ષો પર્યંત પાર્થિવ શિવલિંગની પૂજા કરી. તેમની આ પૂજા અને તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવ અહીં કેદારેશ્વર જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયા. અલબત્, ઉત્તરાખંડની માન્યતા અનુસાર બાંધવ હત્યાના પાપમાંથી મુક્તિ અર્થે પાંડવો શિવજીને શોધતા કેદારક્ષેત્રમાં આવ્યા હતા. કહે છે કે પાંડવોની આસ્થાની પરીક્ષા લેવાં મહાદેવ વિશાળકાય ભેંસનું રૂપ લઈ ભાગવા લાગ્યા. પાંડવોએ તેમને ઓળખી લીધાં. બળશાળી ભીમે તે ભેંસની પૂંછને પકડી લીધી. આખરે, ભૈંસરૂપ શિવજીએ તેમનું મુખ જમીનમાં ઘુસાડી દીધું. પરંતુ, તેમની પીઠનો ભાગ બહાર જ રહી ગયો.

પ્રચલીત કથા અનુસાર આ ઘટના બાદ ભૈંસરૂપ શિવજી તેમના મૂળ રૂપમાં પ્રગટ થયા. તેમણે પાંડવોને દર્શન દઈ બાંધવ હત્યાના પાપમાંથી મુક્ત કર્યા. અને સાથે જ પાંડવોની પ્રાર્થનાથી કેદારક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા. અલબત્ ભેંસની પીઠના જ સ્વરૂપે ! દંતકથા એવી છે કે શિવજીએ ભેંસ રૂપે જમીનમાં નાંખેલું તે મસ્તક નેપાળના કાઠમંડુમાંથી બહાર નીકળ્યું હતું. જ્યાં દેવાધિદેવ મહાદેવ પશુપતિનાથ રૂપે ભક્તોને દર્શન આપી રહ્યા છે. અને કહે છે કે પશુપતિનાથ અને કેદારનાથ બંન્નેના દર્શન બાદ જ કેદારયાત્રાના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow Us
g clip-path="url(#clip0_868_265)">