આ વર્ષે શ્રાવણનો(Shravan) ચોથો સોમવાર અને કૃષ્ણ જન્મોત્સવનો સંયોગ સર્જાયો છે. આ સોમવાર તો હરિ અને હર બંન્નેની આરાધના કરવાનો અવસર છે. આપણા પુરાણોમાં કેટલીયે એવી કથાઓનો ઉલ્લેખ જોવા મળે છે કે જેમાં હરિ એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને હર એટલે કે દેવાધિદેવ મહાદેવના પરસ્પર પ્રેમ, ભક્તિ અને આદરનું ઉદાહરણ.
આપને એ કથા તો અવશ્ય યાદ હશે કે કે જ્યારે દેવાધિદેવ પ્રભુ શ્રીકૃષ્ણના બાળરૂપના દર્શનની એક ઝાંખી માટે ‘અલખ નિરંજન’ કરતાં એક સાધુનું રૂપ ધરી માતા યશોદા પાસે તેના લલ્લાના એટલે કે સ્વયં શ્રીહરિના બાળરૂપના દર્શન કરવા પહોંચી જાય છે. જો કે આ આ નંદલાલના દર્શન કરવાં આટલા સહેલાં થોડા હતાં, માતા યશોદાને અઢળક આજીજી કરે છે દેવાધિદેવ મહાદેવ. જ્યારે માતા જશોદા તેમના લાલાને લઈને આવે છે ત્યારે સ્વયં દેવાધિદેવ ખુશીથી નાચવા લાગે છે.
તો વળી એક કથા તો એવી પણ છે કે પ્રભુની રાસલીલાના દર્શન કરવાં ગોપી બનીને પહોંચી જાય છે મહાદેવ. એટલું જ નહીં જ્યારે જ્યારે શ્રીહરિએ આ પૃથ્વી પર અવતાર ધર્યો છે ત્યારે ત્યારે મહાદેવ તેમના દર્શને આવ્યા છે. રામાવતારમાં પણ શ્રીરામના બાલ્યાવસ્થાના દર્શન કરવાં શિવજી અયોધ્યા પહોંચ્યા હતા તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે.
આપણા શાસ્ત્રમાં એવી કથાઓનો પણ આધાર મળે છે કે જેમાં શ્રીહરિ એ હરની આરાધના કરી હોય. રામ અવતારમાં ભગવાન શ્રીરામએ સ્વયં દેવાધિદેવની આરાધના કરી હોવાનો ઉલ્લેખ મળે છે. રામેશ્વર જ્યોતિર્લિંગ તેની પ્રત્યક્ષ સાબિતી છે. તો મહાભારતમાં પણ એવો આધાર મળે છે કે જ્યારે સ્વયં શ્રીકૃષ્ણએ અર્જૂનને મહાદેવની આરાધના કરવા કહ્યું છે.
મહાભારતના અનુશાસનિક પર્વમાં સ્વયં શ્રીકૃષ્ણ મહાદેવના ગુણોનું વર્ણન કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે, ‘જે નિયમિત શિવલિંગની પૂજા કરે છે તેમને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે, અને કલ્યાણના દાતા છે મહાદેવ.’ મહાભારતના અનુશાસનિક પર્વમાં શ્રીકૃષ્ણ કહે છે કે તેમને કુલ 15 પ્રકારના વરદાનની પ્રાપ્તિ સ્વયં શિવ દ્વારા થઈ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જગતમાં ઉત્તમ યશ, પરમ બળ, પિતાની પ્રસન્નતા, માતાની કૃપા, દસહજાર પુત્ર, શાંતિ, કાર્યકુશળતા, યોગપ્રિયતા, બ્રાહ્મણો પર કોપનો અભાવ, યુદ્ધમાં શત્રુઘાત, ધર્મમાં દ્રઢતા અને શિવ સાનિધ્યના આશિષ તેમને મહાદેવે આપ્યા છે. એટલે કે સ્વયં શિવ, શ્રી હરિને પોતાના આરાધ્ય માને છે તો શ્રીહરિ હરની કરે છે પૂજા. ત્યારે હરિ અને હર બંન્નેની કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર લઈને આવી છે જન્માષ્ટમી.
આ પણ વાંચો : જન્માષ્ટમીએ રાશિ મુજબ અર્પણ કરો પ્રભુને ભોગ, અવશ્ય પૂર્ણ થશે આપના મનોરથ !
આ પણ વાંચો : માત્ર એક મંત્રથી પ્રાપ્ત કરો સંપતિ અને સંતતિનું સુખ ! જન્માષ્ટમીએ અચૂક કરો શ્રીકૃષ્ણના આ મંત્રનો જાપ