TV9 Bhakti: એક ગંધર્વએ કેવી રીતે કરી દેવર્ષિ પદની પ્રાપ્તિ ? જાણો, નારદજીના પૂર્વ જન્મની કથા
પૂર્વ જન્મમાં માતાના મૃત્યુ પછી દેવર્ષિ નારદે(Narad jayanti) પોતાનું સમગ્ર જીવન ઇશ્વરની ભક્તિમાં લગાવવાનો સંકલ્પ કર્યો. કહેવાય છે કે એક દિવસ જ્યારે તે એક વૃક્ષની નીચે ધ્યાનમાં બેઠા હતા ત્યારે અચાનક જ તેમને ભગવાનની એક ઝલક દેખાઇ અને તરત જ તે અદ્શ્ય થઇ ગઇ.
આજે નારદ જયંતીનો (narada jayanti) અવસર છે. જે હજારો હિન્દુ (HINDU)ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્તોમાંથી એક છે દેવર્ષિ નારદ અને નારદજીના જન્મદિવસને નારદ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. દેવર્ષિ નારદ વિવિધ લોકમાં યાત્રા કરતા રહે છે. જેમાં પૃથ્વી, આકાશ અને પાતાળનો સમાવેશ થાય છે. તે યાત્રા(YATRA) દ્વારા દેવતાઓ વચ્ચે સંદેશા અને સૂચનાનો સંચાર કરે છે. તેમણે સંગીતના માધ્યમથી સંદેશ આપવા માટે પોતાની વીણાનો ઉપયોગ કર્યો હતો. પણ, નારદમુનિને દેવર્ષિ પદની પ્રાપ્તિ કેવી રીતે થઈ તેની સાથે પણ એક રોચક કથા જોડાયેલી છે. અને તે તેમના પૂર્વ જન્મ સાથે પણ સંકળાયેલી છે. આવો, આજે તે કથા જાણીએ.
નારદ મુનિના જન્મની કથા
બ્રહ્માજીના પુત્ર તરીકે પ્રગટ થતા પહેલાં નારદમુનિ એક ગંધર્વ હતા. પૌરાણિક કથાઓ અનુસાર પોતાના પૂર્વ જન્મમાં નારદ ‘ઉપબર્હણ’ નામના ગંર્ધવ હતા. તેમને પોતાના રૂપનું બહુ અભિમાન હતું. એકવાર સ્વર્ગમાં અપ્સરાઓ અને ગંધર્વ ગીત, સંગીત અને નૃત્યથી બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા હતા. ત્યારે ઉપબર્હણ સ્ત્રીઓ સાથે ત્યાં આવ્યા અને રાસલીલા કરવા લાગ્યા.
આ જોઇ બ્રહ્માજી અત્યંત ક્રોધિત થઇ ઉઠ્યા અને તે ગંધર્વને શ્રાપ આપ્યો કે તે શુદ્ર યોનિમાં જન્મ લેશે. ત્યારબાદ ગંધર્વનો જન્મ એક શુદ્ર દાસીના પુત્રના રૂપમાં થયો. બંને માતા અને પુત્ર સાચા મનથી સાધુ સંતોની સેવા કરતા હતા. નારદમુનિ બાળકના રૂપમાં સંતોનું એઠું ભોજન ગ્રહણ કરતા. જેનાથી તેમના મનના દરેક પાપ નષ્ટ થઇ ગયા. પાંચ વર્ષની ઉંમરમાં તેમની માતા મૃત્યુ પામ્યા. ત્યારે એ એકદમ એકલા થઇ ગયા. માતાના મૃત્યુ પછી દેવર્ષિ નારદે પોતાનું સમગ્ર જીવન ઇશ્વરની ભક્તિમાં લગાવવાનો સંકલ્પ કર્યો. કહેવાય છે કે એક દિવસ જ્યારે તે એક વૃક્ષની નીચે ધ્યાનમાં બેઠા હતા ત્યારે અચાનક જ તેમને ભગવાનની એક ઝલક દેખાઇ અને તરત જ તે અદ્શ્ય થઇ ગઇ.
આ ઘટના પછી નારદજીના મનમાં ઇશ્વરને જાણવાની અને તેમના દર્શન કરવાની ઇચ્છા પ્રબળ બની ગઇ. ત્યારે અચાનક આકાશવાણી થઇ કે આ જન્મમાં તેમને ભગવાનના દર્શન નહીં થાય. પરંતુ, આગલા જન્મમાં તે તેમના પાર્ષદ બનીને તેમને પ્રાપ્ત કરી શકશે. આખરે, એ સમય પણ આવ્યો કે જ્યારે તે બાળક (નારદમુનિ) બ્રહ્મદેવના માનસપુત્રના રૂપમાં પુનઃ અવતરિત થયા. અને નારદમુનિના નામે તમામ લોકમાં ખ્યાત થયા.
દેવર્ષિ નારદને શ્રુતિ-સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ, વ્યાકરણ, વેદાંગ, સંગીત, ખગોળ-ભૂગોળ, જ્યોતિષ અને યોગ જેવા કેટલાય શાસ્ત્રોના પ્રખર વિદ્વાન માનવામાં આવે છે. દેવર્ષિ નારદના દરેક ઉપદેશોનો સાર એ છે કે સદૈવ સર્વભાવથી નિશ્ચિત થઇને માત્ર ભગવાનનું ધ્યાન જ ધરવું જોઇએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)