સરળ વિધિ દ્વારા મૌની અમાસે કરો મહાફળની પ્રાપ્તિ !
સમગ્ર માઘ માસ દરમિયાન લોકો પવિત્ર તીર્થસ્થાનોમાં જઈ સ્નાન કરે છે, પણ માઘ માસની અમાસ એટલે કે મૌની અમાસના રોજ આ સ્નાન, દાનનું મહત્વ અનેકગણું વધી જાય છે ! આ વખતે મહોદય યોગ સાથે આવેલી મૌની અમાસ વિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવશે.
મૌની અમાસ (MAUNI AMAS) તો દર વર્ષે આવે છે. પણ, આ વખતે ગુરુવારની મૌની અમાસનું મહત્વ એટલાં માટે વધુ છે, કારણ કે તે વિશેષ સંયોગ સાથે આવી છે. શ્રવણ નક્ષત્રમાં ચંદ્ર છે અને મકર રાશિમાં છ ગ્રહ એકસાથે હોવાથી વિશેષ યોગ સર્જાયો છે. આ યોગને મહોદય યોગ કહે છે, જે વ્રત કરનારને સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવશે. સમગ્ર માઘ માસ દરમિયાન લોકો પવિત્ર તીર્થસ્થાનોમાં જઈ સ્નાન કરે છે, પણ માઘ માસની અમાસ એટલે કે મૌની અમાસના રોજ આ સ્નાન, દાનનું મહત્વ અનેકગણું વધી જાય છે !
દંતકથા અનુસાર એ મૌની અમાસની જ તિથિ હતી કે જે દિવસે પરમ પિતા બ્રહ્માજીએ મનુ-શતરૂપાનું સર્જન કરી સૃષ્ટિની રચનાની શરૂઆત કરી હતી ! ત્યારે આવો જાણીએ કે આ દિવસે કઈ વાતનું ધ્યાન રાખીને તમે મહાફળની પ્રાપ્તિ કરી શકશો.
વ્રતમાં મૌનનો મહિમા મૌની અમાસના રોજ મૌન ધારણ કરવાનું મહત્વ છે. વ્રત કરનારે આ દિવસે મૌન રહેવું. સમગ્ર દિવસ મૌન ન રાખી શકાય તો એક કલાક માટે પણ મૌન રહેવું ! મૌનથી વ્રત કરનારને દિવ્ય ઊર્જાની પ્રાપ્તિ થશે. મૌન ન રાખી શકાય તો પણ, આ દિવસે કોઈને કડવા વચન તો ન જ બોલવા !
મૌની અમાસે દાન, સ્નાનથી પ્રાપ્ત થનારું પુણ્ય અનેકગણું વધી જાય છે. આ દિવસે એ તીર્થસ્થાનોમાં સ્નાનનો મહિમા છે કે જ્યાં અમૃતની બુંદ પડી હતી. લોકવાયકા છે કે આ દિવસે સમસ્ત દેવતાઓ સ્વયં ગંગામાં નિવાસ કરે છે. અને એટલે જ મૌની અમાસે ગંગા સ્નાનથી અશ્વમેધ સમાન પુણ્યની પ્રાપ્તિની માન્યતા છે. પણ, જો તીર્થસ્થાનમાં સ્નાન માટે ન જઈ શકો તો શું કરશો ?
સરળ વિધિથી મહાફળ ઘરમાં જ સ્નાનના પાણીમાં ગંગાજળ નાંખી તેનાથી સ્નાન કરવું. જળમાં કાળા તલ મિશ્રિત કરી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું. મૌની અમાસે આસ્થા સાથે શિવજીની કે શ્રીવિષ્ણુની પૂજા કરવી. પીપળાને જળ અર્પણ કરી પ્રદક્ષિણા કરવી. યથાશક્તિ અનાજ, વસ્ત્ર, કાળા તલ, કાળા અડદ, આંબળા, ધાબળા તેમજ ઘીનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થશે. કશું જ ન થઈ શકે તો ગાયને ઘાસ નીરવું
શાસ્ત્રાનુસાર જોઈએ તો સતયુગમાં જે ફળની પ્રાપ્તિ હજારો વર્ષ તપસ્યા બાદ થાય છે તેની પ્રાપ્તિ તો મૌની અમાસે મૌન રહેવાથી, ગંગાસ્નાનથી અને શ્રીહરિની પૂજા માત્રથી થઈ જાય છે.
આ પણ વાંચો 7 દ્રવ્ય અને 7 મંત્રથી પ્રાપ્ત કરો મહાદેવની કૃપા, પૂર્ણ થશે સઘળી મનોકામના