Diwali 2022: શું દિવાળીના દિવસો દરમિયાન તમે દ્વાર પર લખો છો શુભ લાભ ? જાણી લો તમારા લાભની વાત !
દિવાળીના (Diwali) દિવસો દરમિયાન ઉંબરા પૂજનની સાથે જ ઘરના દ્વાર પર શુભ-લાભ લખીને સ્વસ્તિક બનાવવાનો મહિમા છે. લૌકિક માન્યતા અનુસાર નિત્ય શક્ય ન હોય તો પણ, ધનતેરસ, દિવાળી અને બેસતા વર્ષના શુભ દિવસે આ કાર્ય જરૂરથી કરવું જોઈએ.
દિવાળીનો (Diwali 2022) રૂડો અવસર નજીક આવી પહોંચ્યો છે. ઘરોની સાફ-સફાઈ બાદ લોકો તેની સજાવટમાં વ્યસ્ત બની ગયા છે. પણ, ઘરની સાફ-સફાઈની સાથે ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય અને ઘરમાં શુભ તત્વોનું આગમન થાય તે ખૂબ જ જરૂરી છે. અને આ મહત્વપૂર્ણ કાર્ય ઉંબરા પૂજન (umbra pujan) તેમજ શુભ લાભ (shubh labh) દ્વારા જ પાર પડી શકે છે ! આસો વદ એકાદશી, એટલે કે રમા એકાદશીથી લઈને કારતક સુદ પંચમી, એટલે કે લાભ પાંચમ સુધીના દિવસો એ દિવાળીના દિવસો મનાય છે. આ સપરમા દિવસો દરમિયાન ઉંબરા પૂજનનો સવિશેષ મહિમા રહેલો છે. પણ, તેની સાથે જ ઘરના દ્વાર પર શુભ-લાભ લખવાનું પણ આગવું જ મહત્વ છે. આવો, આજે તે વિશે વિગતે જાણીએ.
શુભ-લાભથી સુખ-સમૃદ્ધિ !
⦁ દિવાળીના દિવસો દરમિયાન ઉંબરા પૂજનની સાથે જ ઘરના દ્વાર પર શુભ-લાભ લખીને સ્વસ્તિક બનાવવાનો મહિમા છે. લૌકિક માન્યતા અનુસાર તો આ કાર્ય નિત્ય જ કરવું જોઈએ. પરંતુ, નિત્ય શક્ય ન હોય તો પણ, ધનતેરસ, દિવાળી અને બેસતા વર્ષના શુભ દિવસે આ કાર્ય જરૂરથી કરવું.
⦁ માન્યતા અનુસાર શુભ-લાભ ઘરની આસપાસની તમામ નકારાત્મક ઊર્જાને નષ્ટ કરી દે છે. ઘરના મુખ્ય દ્વાર પર શુભ-લાભ લખવાથી કોઈની પણ કુદૃષ્ટિ કે નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશી નથી શકતી. અને ઘરમાં સુખ-શાંતિ અકબંધ રહે છે.
⦁ શુભ અને લાભ બંન્ને ગણેશજીના પુત્ર છે. એટલે ઘરના દ્વાર પર શુભ-લાભ લખવાથી ગજાનન ગણેશની પણ કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે. કારણ કે, પોતાના પુત્રોના સ્મરણથી શ્રીગણેશ સવિશેષ પ્રસન્ન થાય છે. અને પ્રસન્ન વિઘ્નહર્તા ભક્તોના જીવનના સઘળા વિઘ્નોનું શમન કરી દે છે.
⦁ શુભ-લાભની માતા રિદ્ધિ અને સિદ્ધિ છે. એટલે કે, પુત્રોના ઘરમાં આગમનથી માતાઓ પણ સ્વયં જ ઘરમાં ખેંચાઈ આવે છે. રિદ્ધિથી વ્યક્તિને આર્થિક સમૃદ્ધિનું સુખ પ્રાપ્ત થાય છે. તો સિદ્ધિ વ્યક્તિને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ કરાવે છે. એટલે કે, જો તમે ઘરના દ્વાર પર શુભ-લાભ લખો છો તો ઘરની સુખ-સમૃદ્ધિ અકબંધ રહે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)