શું તમને ખબર છે તીર્થ યાત્રાના નિયમો ? જો જો ક્યાંક પાપ કર્મ ન કરી બેસો
લોકો તીર્થ યાત્રા પર જાય તો છે પરંતુ તેમને તીર્થ યાત્રાના નિયમોની જાણ નથી હોતી. અને એટલે જ પુણ્યનું ભાથું બાંધવાને બદલે લોકો અજાણતા જ પાપ કર્મ કરી બેસે છે. એટલે જ જો તીર્થ યાત્રા પર જાઓ છો તો નિયમો જાણીને જ જજો.
હિન્દુ ધર્મમાં તીર્થ યાત્રા કરવાનું ખાસ મહત્વ છે. તીર્થ યાત્રા કરવાથી સાંસારિક અને આધ્યાત્મિક લાભ મળે છે. તીર્થયાત્રા દરમ્યાન જપ, તપ, દાન કરવું જોઇએ. જો આ કાર્ય નથી કરતાં તો તે રોગ અને દોષના ભાગીદાર બને છે. કેટલાક લોકો તીર્થ યાત્રા પર જાય તો છે પરંતુ તેમને તીર્થ યાત્રાના નિયમોની જાણ નથી હોતી. ત્યાં જઇને તેઓ એવા કાર્યો કરી બેસે છે જે તીર્થ ક્ષેત્રમાં વર્જિત ગણાય છે. તો ચાલો જાણીએ એવા કયા કાર્યો છે જે તીર્થ ક્ષેત્રમાં ન કરવા જોઇએ. તીર્થ યાત્રા કરતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો નીચે મુજબ છે.
- તીર્થ યાત્રા દરમ્યાન જપ, તપ, દાન કરવું જોઇએ કહેવાય છે કે તેના વગર તો યાત્રા અધૂરી રહે છે અને વ્યક્તિ રોગ અને દોષનો ભાગીદાર બને છે.
- બીજી જગ્યા પર કરવામાં આવેલ પાપકર્મ તીર્થયાત્રામાં નષ્ટ થઇ જાય છે પરંતું તીર્થ યાત્રા દરમ્યાન તીર્થ ક્ષેત્રમાં કરવામાં આવેલ પાપકર્મ ક્યારેય નષ્ટ નથી થતા એટલે ભૂલથી પણ ભૂલ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
- પતિ કે પત્નીને મૂકીને જો કોઇ તીર્થ ક્ષેત્રમાં ગયા હોવ તો તીર્થનું પુણ્ય ફળ પ્રાપ્ત નથી થતું. પત્ની કે પતિની હયાતીમાં તેમને મૂકીને એકલા ક્યારેય તીર્થ યાત્રા ન કરવી.
- તીર્થ યાત્રા દરમ્યાન કે તીર્થ ક્ષેત્રમાં કોઇપણ પ્રકારનું વ્યસન કે માંસાહારનું સેવન ન કરવું જોઇએ તેનાથી આપના પાપકર્મમાં વધારો થાય છે.
- તીર્થ પરિક્રમા કે મંદિર પરિક્રમા કરતા સમયે તે ક્યારેય અધૂરી કરવી નહીં અને ભગવાનની સામે કે તીર્થના પ્રમુખ પડાવ પર રોકાઈ રોકાઈને પરિક્રમા કરવી જોઇએ.
- તીર્થ ક્ષેત્રમાં કે મંદિરમાં ભગવાન સમક્ષ કે શ્રીવિગ્રહ સમક્ષ પગ લાંબા કરીને બેસવું અશુભ ફળદાયી બને છે. તેનાથી આપના પાપ કર્મમાં વધારો થાય છે. શ્રીવિગ્રહની સામે મોટા અવાજે બોલવું અને સાંસારિક વાર્તાલાપ કરવા પણ નિષેધ માનવામાં આવે છે.
- તીર્થમાં કે નદી કે મૂર્તિની સમક્ષ સૂવું તેમજ ઘૂંટણને ઊંચા કરીને તેના પર હાથ રાખીને બેસવું પણ નિષેધ માનવામાં આવે છે. મૂર્તિ સમક્ષ બૂમો પાડવી, કલેશ કરવો, અભદ્ર ભાષા બોલવી પણ પાપકર્મના ભાગીદાર બનાવે છે.
- ભગવાનને અર્પણ કર્યા સિવાય કોઇપણ આહાર આરોગવો નહીં. ભગવાનને ભોગ લગાવેલ આહાર જ આરોગવો જોઇએ. ભગવાનને ભોગ લગાવ્યા સિવાયનો આહાર આરોગ્યા બાદ ભગવાનને અર્પણ કરવું એક પાપ સમાન છે. કોઈ પણ ઋતુનું ફળ કે શાકભાજી ભગવાનને અર્પણ કર્યા પછી જ આરોગવા જોઇએ.
- શક્ય હોય તો કોઇપણ તીર્થ સ્થાનના દર્શન જાતે જ ચાલીને કરવા જોઇએ.
- હંમેશા ખ્યાલ રહે કે તીર્થસ્થાનમાં શુદ્ધિકરણ સાથે જ પ્રવેશ કરવો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)