Bhaibeej 2022 : ભાઈબીજ આજે પણ ઉજવી શકાય છે, શુભ સમય કયો છે અને કુમકુમ તિલક કરતી વખતે કઈ બાબતોનું રાખશો ધ્યાન
Bhaibeej 2022: આ વર્ષે સૂર્યગ્રહણને કારણે ભાઈબીજનો શુભ મુહૂર્ત 26 અને 27 ઓક્ટોબર બંને દિવસે આવી રહ્યો છે. ભાઈબીજ પર કેવી રીતે પૂજા કરવી, શુભ મુહૂર્ત શું છે અને શું ધ્યાનમાં રાખવું જોઈએ. જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો.
જો કે દર વર્ષે વિક્રમ સંવતના નૂતન વર્ષના બીજા દિવસે ભાઈબીજનો (Bhaibeej) તહેવાર ઉજવવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે આ તહેવાર દિવાળીના બે દિવસ પછી ઉજવવામાં આવશે. દિવાળીના બીજા જ દિવસે સૂર્યગ્રહણના કારણે આ વર્ષે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉદય તિથિ અનુસાર, 27 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે ભાઈબીજ ઉજવવામાં આવશે. પરંતુ ઘણી જગ્યાએ આ તહેવાર આજે પણ ઉજવવામાં આવે છે. દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજના રોજ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને કુમકુમ તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.
કયા દિવસે કુમકુમ તિલક કરવું
આ વખતે ભાઈબીજની તારીખને લઈને મૂંઝવણ છે કારણ કે દિવાળીના બીજા જ દિવસે સૂર્યગ્રહણ હતુ. આ વર્ષે કારતક કૃષ્ણ પક્ષની બીજી તિથિ 26 અને 27 ઓક્ટોબર એમ બંને દિવસે આવી રહી છે. ભાઈબીજનું મુહૂર્ત 26 ઓક્ટોબરે બપોરે 2.43 વાગ્યાથી શરૂ થશે અને 27 ઓક્ટોબરે બપોરે 12.45 વાગ્યા સુધી ચાલશે. ઉદય તિથિ અનુસાર આ વર્ષે 27 ઓક્ટોબરે ઘણી જગ્યાએ ભાઈબીજની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસનો શુભ સમય સવારે 11.07 થી બપોરે 12.46 સુધીનો રહેશે.
તિલક કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
તિલક લગાવતી વખતે ધ્યાન રાખો કે ભાઈનું મુખ ઉત્તર કે ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. બીજી તરફ બહેને ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. ભાઈબીજની પૂજા સમયે કુમકુમ તિલક હંમેશા બેસીને લગાવવુ જોઈએ. ખુરશી અથવા સાદડી પર બેસીને ભાઈને તિલક કરવાનો પ્રયાસ કરો. આ ખાસ દિવસે કોશિશ કરો કે આખો પરિવાર માત્ર સાત્વિક ભોજન જ ખાય. આ દિવસે માંસાહારી ભોજન કરવું અશુભ માનવામાં આવે છે. તિલક કર્યા બાદ, બહેનને ભેટ તરીકે, કંઈક આપવું આવશ્યક છે. આમ કરવું શુભ માનવામાં આવે છે.
શા માટે ભાઈબીજ ઉજવાય છે
ભાઈબીજના તહેવાર પાછળ બે મુખ્ય વાત પ્રચલિત છે. હિંદુ દંતકથાઓ અનુસાર, એકવાર મૃત્યુના દેવતા યમરાજની બહેન યમુનાએ તેમને બોલાવ્યા હતા. યમુના તેના ભાઈ યમરાજને મળી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ. તેમણે સ્વાગત માટે યમરાજને તિલક કર્યું. યમુનાજીએ પોતાના ભાઇ યમરાજને પોતાને ત્યાં નોતરી જમાડ્યા હતા. તે દિવસે મૃત્યુદેવ યમરાજા પોતાની બહેન યમુનાને ઘેર ગયા હતા અને તેને વસ્ત્રાલંકાર વગેરે આપી તેને ત્યાં ભોજન કર્યું હતું. તેથી બહેનને ઘેર ભાઈ જમે છે અને શક્તિ અનુસાર બહેનને કાપડું કરે છે.
આ સિવાય બીજી કથા જે પ્રચલિત છે તે એ છે કે ભગવાન કૃષ્ણ નરકાસુરનો વધ કરીને પોતાની બહેન સુભદ્રાના ઘરે ગયા હતા. ત્યારે ભગવાન કૃષ્ણનું સ્વાગત કરવા સુભદ્રાએ તેમને લલાટે કુમકુમ તિલક લગાવ્યું અને તેમને ભોજન કરાવ્યું. ત્યારથી ભાઈબીજનો તહેવાર શરૂ થયો.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.