
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી સમય માટે વરસાદની વિસ્તૃત આગાહી કરવામાં આવી છે. તેમની નવી આગાહી મુજબ, 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. એક લો પ્રેશર સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી હોવાથી આ વરસાદી માહોલ સર્જાશે.
અંબાલાલ પટેલના મતે, આ લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ જામનગર, ભાવનગર, બોટાદ, પાળીયાદ અને લાઠી જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો 3 ઇંચથી પણ વધુ વરસાદ પડી શકે તેવી ચેતવણી તેમણે આપી છે.
અંબાલાલ પટેલના વિશ્લેષણ મુજબ, જે સિસ્ટમ અગાઉ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સક્રિય હતી તે હવે પુનઃ સૌરાષ્ટ્ર તરફ પરત ફરી રહી છે. આ ‘રિટર્ન’ સિસ્ટમના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, લાઠી, ભાવનગર, બોટાદ અને અમરેલીના અમુક ભાગોમાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે.
વરસાદની સિસ્ટમ માત્ર લો પ્રેશર પૂરતી મર્યાદિત નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, 24 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમ ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈને ગુજરાત તરફ આગળ વધશે, જેના પરિણામે મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની વકી છે.
વરસાદનો આ સિલસિલો સપ્ટેમ્બરના અંત સુધી ચાલુ રહી શકે છે. 26 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. લાંબાગાળાની આગાહીમાં તેમણે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ચક્રવાતની શક્યતાઓ પણ દર્શાવી છે. હાલનો વરસાદ લગભગ 18, 19 અને 20 સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે. આ સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની યુગલ અસરથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ચાલુ રહેશે, જ્યારે મધ્ય ગુજરાત અને અન્ય ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આમ, ગુજરાતના ખેડૂતો અને નાગરિકોએ આગામી દિવસોમાં વરસાદ માટે તૈયાર રહેવું પડશે.
મહેસાણાના વડનગર આવેલા મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનું હેલિકોપ્ટર બગડ્યું