
ગુજરાતમાં ઉનાળો હવે આકરો બની રહ્યો છે. હવામાન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં આગામી છ દિવસ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ, અમદાવાદમાં પારો 43 થી 44 ડિગ્રીની વચ્ચે રહેશે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતા છે.
ગરમીનો પ્રકોપ વધતા લોકો બીમાર પડી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 26 દિવસમાં રાજ્યમાં ગરમીને લગતા કુલ 1,518 કેસ 108 ઇમર્જન્સી સેવામાં નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ 243 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા છ દિવસથી રાજ્યમાં હીટ રિલેટેડ ઈમરજન્સીના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની ચેતવણી બાદ AMC એ નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ સીધા તડકાથી બચવું અનિવાર્ય છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વધુ પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવિયું છે. અમદાવાદ, સુરત, પાટણ અને રાજકોટ જિલ્લામાં આકરી ગરમીની શક્યતાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને કચ્છ જિલ્લામાં પણ હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધીના મોટાભાગના વિસ્તારો ગરમીની ઝપેટમાં છે. કચ્છ, પાટણ અને મોરબી સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હીટવેવની ખાસ ચેતવણી અપાઈ છે. પોરબંદર અને અમદાવાદ જેવા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરોમાં પણ હીટવેવનું એલર્ટ છે, જ્યાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 થી 42°C ઉપર છે.
ઓરેન્જ એલર્ટને જોતા આગામી દિવસોમાં હીટ સ્ટ્રોક અને ચક્કર આવવા જેવા કેસોમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. હોસ્પિટલોને પણ સ્ટેન્ડબાય રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
Published On - 2:28 pm, Mon, 27 April 26