Breaking News : વસ્ત્રાપુરમાં 45 દુકાનોને કરોડોનું નુકસાન, તંત્રની નિષ્ક્રિયતા સામે વેપારીઓનો ઉગ્ર રોષ – જુઓ Video
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષમાં ધોધમાર વરસાદથી 45 દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેનાથી વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. ઘટનાના કલાકો વીત્યા છતાં તંત્ર કે કોઈ નેતા તરફથી મદદ ન મળતા રોષે ભરાયેલા વેપારીઓ હવે જાતે જ પાણી નિકાલ કરવા મજબૂર બન્યા છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષમાં ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે આ કોમ્પ્લેક્ષની 45 દુકાનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. મોબાઇલ, કાર એસેસરીઝ અને સ્ટેશનરી જેવી દુકાનોને લાખોથી કરોડો રૂપિયાનું મોટું નુકસાન થયું છે. વરસાદ બંધ થયાના કલાકો વીતી ગયા હોવા છતાં દુકાનોમાંથી પાણી ઓસર્યું નથી, જેના કારણે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે 8:30 વાગ્યા આસપાસ પાણી ભરાવાનું શરૂ થયું હતું. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), પોલીસ અને ટોરેન્ટ પાવરને વારંવાર જાણ કરી હતી પરંતુ કોઈ મદદ મળી ન હોવાનો તેમનો આક્ષેપ છે. ટોરેન્ટ દ્વારા રાત્રે 1 વાગ્યે વીજળી કાપી નાખવામાં આવી હતી, જેથી પાણીમાં કરંટનો ભય હતો. સરકારી સહાય ન મળતા વેપારીઓ જાતે જ પાણી બહાર કાઢવા મજબૂર બન્યા છે.
નેતાઓ કેમ ગાયબ?
ખાસ વાત એ છે કે, જ્યારે સુરતમાં આવી ઘટના બની હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. જો કે, અહીં કોઈ નેતા કે અધિકારી ફરક્યા નથી. બસ આ લીધે જ હવે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વેપારીઓનો મુખ્ય પ્રશ્ન છે કે, તેઓ નિયમિતપણે ટેક્સ અને બિલ ભરે છે, છતાં આપત્તિના સમયે તેમને કોઈ સુવિધા કે સહાય મળતી નથી. તેમણે સરકારને ટાઈમસર ટેક્સ ભરીને દેશની પ્રગતિમાં મદદરૂપ થવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આવા સમયે તેમને સરકાર તરફથી કોઈ સહાય ન મળવી એ દુર્ભાગ્યપૂર્ણ છે.
