Vadodara : વિશ્વામિત્રી નદીની સપાટી 12. 50 ફૂટે પહોંચી, 26 ગામોને એલર્ટ કરાયા
વડોદરાની વિશ્વામિત્રી નદીની(Vishwamitri River) સપાટી ફરી 5 દિવસ બાદ 12.50 ફૂટે પહોંચી છે.છેલ્લા 3 દિવસમાં શહેરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
વડોદરા(Vadodara) શહેરમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.આગાહીને પગલે વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.ત્યારે વિશ્વામિત્રી નદીની(Vishwamitri River) સપાટી ફરી 5 દિવસ બાદ 12.50 ફૂટે પહોંચી છે.છેલ્લા 3 દિવસમાં શહેરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.સતત વરસાદને કારણે ફરી વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધી છે.જેથી વાઘોડિયા અને ડભોઈનાં 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.જે પૈકી દેવ નદી કાંઠાના ફલોડ, વેજલપુર, અલવા, ગોરજ, માધવપુરા, ધાનખેડા, પાટિયાપુરા, મુની આશ્રમ, મુવાડા, સહિતના અન્ય તથા ઢાઢરના કાંઠાના બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા સહિતના ગામ લોકોને એલર્ટ કરાયા છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે
રાજ્યમાં ગઈકાલે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ભારે વરસાદને પગલે કેટલાક ગામોમાં સ્થિતિ વણસી છે. તો બીજી તરફ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. નર્મદામાં પ્રવાહિત પાણીનો જથ્થો 4.95 લાખ ક્યુસેક થયો છે, જેના પગલે નદી બે કાંઠે વહેતી થઇ છે. હાલ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાઓના નર્મદા કાંઠાના 4 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. એટલું જ નહીં સાવચેતી અને સતર્કતા રાખવા તંત્રને સુચના આપવાની સાથે લોકોને નદીમાં નાહવા,કાંઠે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
