વરાછાને શું જોઈએ તે કતારગામના કોર્પોરેટરે નક્કી કરવાનું નથી, MLA કુમાર કાનાણીએ મેયરને લખ્યો પત્ર
કતારગામના કોર્પોરેટર દ્વારા બ્રિજના વિરોધ બાદ રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું- 'વરાછાના લોકોને શું જોઈએ તે કતારગામના કોર્પોરેટરે નક્કી કરવાની જરૂર નથી'
Surat Ashwinikumar Utran Bridge : સુરત શહેરમાં અશ્વિનીકુમાર-ઉત્રાણ બ્રિજના મુદ્દે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ભાજપના જ ધારાસભ્ય અને કોર્પોરેટર સામ સામે આવ્યા હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી સુરત મહાનગરપાલિકાના બજેટમાં સામેલ આ બ્રિજના નિર્માણને લઈને હવે વિરોધનો સૂર ઉઠતા ધારાસભ્ય કિશોર કાનાણી આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ મુદ્દે સુરતના મેયરને પત્ર લખી બ્રિજના કામને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
અશ્વિનીકુમાર-ઉત્રાણ બ્રિજ બનવાથી વરાછા, મોટા વરાછા અને ઉત્રાણ સહિતના વિસ્તારોના લાખો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે તેવો કિશોર કાનાણીએ પત્રમાં દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ વર્ષથી આ બ્રિજનો સમાવેશ બજેટમાં કરવામાં આવ્યો છે. તેમ છતાં કતારગામ વિસ્તારના કોર્પોરેટર ભુપેન્દ્ર રાઠોડ દ્વારા બ્રિજના વિરોધ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
કિશોર કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “વરાછાના લોકોને શું જોઈએ છે તે કતાર ગામના કોર્પોરેટરે નક્કી કરવાની જરૂર નથી, અમે નક્કી કરીશું.” તેમણે બ્રિજના વિરોધ પાછળના કારણો અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
કાનાણીએ કતારગામ વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા રિઝર્વેશનના વિવાદનો ઉલ્લેખ કરી સવાલ કર્યો કે, આ મુદ્દે કોર્પોરેટર કેમ બોલતા નથી ? તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કોઈના ઈશારે બ્રિજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
માત્ર બ્રિજના ખર્ચના વિરોધ પાછળ કોર્પોરેટરનો કોઈ અંગત સ્વાર્થ તો નથી ને, તેવી શંકા પણ કિશોર કાનાણીએ વ્યક્ત કરી છે. બ્રિજના નિર્માણથી મોટી સંખ્યામાં લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની વાત સાથે તેમણે આ પ્રોજેક્ટને લઈને વિરોધના રાજકારણ સામે નારાજગી વ્યક્ત કરી છે.
અશ્વિનીકુમાર-ઉત્રાણ બ્રિજને લઈને ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચે શરૂ થયેલી આ ખેંચતાણ આગામી દિવસોમાં સુરતના સ્થાનિક રાજકારણમાં વધુ ચર્ચાનું કેન્દ્ર બને તેવી શક્યતા છે.

